Publish Date: Mon, 09 Dec 2019 (12:13 IST)
Updated Date: Mon, 09 Dec 2019 (12:17 IST)
આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર મળી રહ્યું છે. આ દરમિયાન બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનો મામલો ખૂબ ગરમાશે. વિપક્ષ આ સત્ર દરમિયાન ભાજપને ઘેરવાનો પૂરતો પ્રયાસ કરશે. બીજી તરફ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ હજુ પણ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. વિસ્ટા ગાર્ડન ખાતે વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી રહ્યા છે. આ ઉપરાંત અહીં ગાર્ડનની વૉલ પર વિદ્યાર્થીઓએ વિવિધ સ્લોગનો લખીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ આમરણાંત ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે.વિદ્યાર્થીઓએ 'અમે આતંકવાદી નથી', 'નવ નિર્માણ આંદોલન-2019', 'પરીક્ષા રદ ન થાય તો બીજેપીને વોટ નહીં', 'I Will Win not Immediately but Definitely' જેવા સ્લોગનો લખ્યા છે.'જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી અમે સ્થળ પરથી હટીશું નહીં. જો સરકાર પરીક્ષા રદ નહીં કરે તો મંગળવારથી વિદ્યાર્થીઓ,સામાજિક કાર્યકરો અને ખેડૂત આગેવાનો આમરણાંત ઉપવાસ કરશે.'વિદ્યાર્થીઓનું આંદોલન કૉંગ્રેસ પ્રેરિત હોવાના આક્ષેપ પર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, "અમે તમામ પક્ષના લોકોને આવકારીએ છીએ. વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ અમને મળવા આવી શકે છે. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં."