Publish Date: Thu, 17 May 2018 (16:16 IST)
Updated Date: Thu, 17 May 2018 (16:25 IST)
સાઉથ એશિયાઇ દેશોમાં શિપબ્રેકિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો ભાંગવા પર પ્રતિબંધ લાદવામાં આવતા હવે તે ભારત સાથેના આ ક્ષેત્રમાં સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યું છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને શીપ બ્રેકિંગ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે. તેથી હવે મોટાં મોટાં શીપ ભારતમાં ભાવનગર નજીક અલંગ ખાતે તોડવા માટે લાવવામાં આવે છે.
અલંગના સૂત્રોનું કહેવું છે કે, “ચીન દ્વારા વેસ્ટ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ચીનમાં ફોરેન ફ્લેગ શિપના રીસાયકલિંગ પ્રતિબંધની સાનુકુળ અસર અલંગ શિપબ્રેકિંગ યાર્ડ પર પડવાની પુરેપુરી સંભાવના છે. ચીનમાં લાદવામાં આવેલા નવા નિયમો અનુસાર, યુરોપીયન યુનિયનની બહારની તરફ આવેલા શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા યુરોપીયન કમીશન સમક્ષ અરજી કરવાની રહેશે અને નવા નિયમો પાળવા અંગેની તમામ આવશ્યક્તાઓ અંગે બાંહેધરી આપવાની રહે છે. ચીનમાં પ્રતિબંધની અલંગ પર શું અસર થઇ શકે ? ચીનમાં ડ્રાય ડોકિંગ પધ્ધતિથી શિપબ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત તેઓની મોટાભાગની કામગીરી મશિનરી આધારીત અને સ્વયંસંચાલિત હતી.
તેથી દુનિયાના મોટા જહાજ ચીનમાં ભંગાવા માટે જતા હતા. ઉપરાંત મશિનરીની મદદથી શિપ રીસાયકલિંગ થતું હોવાને કારણે ચીનમાં એક શિપ ખુબ ઓછા સમયમાં ભાંગી શકાતુ હતુ. હવેથી ચીનમાં તૂટવા માટે આવતા મોટા કદના જહાજો અલંગ (ભારત), બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ફાળે આવશે, તેથી વ્યવસાયકારોની નફાકારતા પર સાનુકુળ અસર પડી શકે છે.