Publish Date: Sat, 09 Apr 2022 (20:06 IST)
Updated Date: Sat, 09 Apr 2022 (20:12 IST)
હવે વાઘા બોર્ડરની જેમ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં નડાબેટ ખાતે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
પાકિસ્તાન સાથે ગુજરાતનો પાણી અને જમીનથી મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળશે. અહીં 125 કરોડના ખર્ચે નાડાબેડ સીમાદર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.
આ સ્થળ પર રોજ સાંજે બીએસએફ દ્વારા પરેડ કરવામાં આવશે જ્યાં જવાનોના શૌર્યને પ્રવાસીઓ માણી શકશે. બોર્ડર પર બીએસએફ કઈ રીતે કામગીરી કરે છે તે પણ પ્રવાસીઓ અહીં આવીને જાણી શકશે. અહીં મ્યુઝિયમ સહિતની પ્રવાસીઓને આકર્ષવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
સીમા દર્શન માટે આવતા લોકો અહીં વાઘા-અટારી બોર્ડરની માફક સૈનિકોની પરેડ નિહાળી શકશે. જવાનો પરેડ કરી શકે તેવું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં અજય પ્રહરી મ્યુઝિયમમાં દેશની સેવાકાજે યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની વીરગાથા વર્ણવવામાં આવી છે.