Publish Date: Tue, 20 Mar 2018 (12:53 IST)
Updated Date: Tue, 20 Mar 2018 (13:03 IST)
વિધાનસભા ગૃહમાં બજેટ પરની માગણી દરમિયાન પાટીદાર દ્વારા અનામતની માગણી અને આંદોલનનો મુદ્દો પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવાયો હતો. તેમજ સવર્ણ વર્ગનાં લોકોને લઇને સરકારની નીતિ રીતીની આકરી ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ કહ્યું કે, બિન અનામત વર્ગ માટે સરકારે ૨૦ ટકા અનામતની જોગવાઇ કરવી જોઈએ. જેના માટે જરૃરી સરવે અને બંધારણમાં સુધારો કરો. અમે તે માટે તૈયાર છીએ. તેઓએ કહ્યું કે, SC, ST અને OBC સમુદાયની વસતિ જ ૭૦ ટકા છે. છતાં તેમની સાથે ઘોર અન્યાય થાય છે. બજેટમાં ૫૨ ટકા રકમ પણ ફાળવાતી નથી જે રકમ ફાળવાય છે તેટલી પૂરતી વપરાતી પણ નથી.
ભાજપની નિષ્ફળતાને કારણે પાટીદાર, બ્રાહ્મણો, વણિક જેવા અનેક સમાજના યુવાનોએ આંદોલન કરવું પડયું હતું. જેમાં ૧૪ પાટીદારોને ગોળીએ દેવાયા હતા. આ જ રીતે નિયમો મુજબ બજેટમાં દલિતો માટે પૂરતા નાણાં ફાળવાતા નથી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનને દબાવવા બિન અનામત સવર્ણ જ્ઞાાતીઓને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની લોલીપોપ અપાઇ હતી. જેમાં ૧૦૦૦ કરોડની ફાળવણી સામે માંડ ૩૦૦ કરોડનો જ ખર્ચ થયો છે. લઘુમતીઓનાં વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં સરકારે ૮૮.૯૧ કરોડ ઓછા વાપર્યા છે. સબકા સાથ, સબકા વિકાસ અને હું છું ગુજરાત. હું છુ વિકાસની વાતો કરનારી ભાજપ સરકારે લઘુમતિઓનાં વિકાસ માટે વ્યકિતગત માસિક ફક્ત રૃપિયા ૭નો જ ખર્ચ કર્યો છે. લઘુમતી સમાજના વિકાસ માટે સરકારની ઘોર ઉદાસીનતા છે. તેમના કલ્યાણ માટે કશું કર્યું નથી.