Publish Date: Fri, 26 Jul 2019 (12:57 IST)
Updated Date: Fri, 26 Jul 2019 (13:00 IST)
અમૂલ ડેરીની ચેરમેન અને વાઈસ ચેરમેની ચૂંટણી 26મી જુલાઈના રોજ યોજાઈ હતી. જેમાં રામસિંહ પરમાર ચેરમેન પદે જ્યારે રાજેન્દ્રસિંહ પરમાર વાઈસ ચેરમેન પદે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. 16 ઓગસ્ટના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઇને નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી અમૂલ ડેરીમાં પણ ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ભાજપના જ ઉમેદવારો હશે, જોકે વાઈસ ચેરમેન પદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઈ આવ્યા છે. અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ ડેરી કહેવાય છે. હાલ 6 લાખ જેટલા દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 13 વર્ષથી વાઇસ ચેરમેનપદનો હવાલો રાજેન્દ્વસિંહ પરમાર સંભાળે છે. જ્યારે છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહેલા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે અમૂલ આંતરાષ્ટ્રીય સ્તરની બ્રાન્ડ બની ગઇ છે. અંદાજે 7 હજાર કરોડનો કારોબાર છે. તેનું સુકાન સંભાળવા માટે બંને રાજકીય પક્ષોના દિગ્ગજ સહકારી આગેવાનો પુન: સત્તારૂઢ થવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. રામસિંહ પરમારે 2017ની વિદ્યાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો. કોગ્રેસને રામ રામ કરીને ભાજપનું કમળ પકડી લીધું હતું. આથી તેના શિરપાવરૂપે જીસીએમએમએફનું ચેરમેનપદ મળ્યું હતું .હવે ભાજપ સમર્થિત ચેરમેન અને કોગ્રેસી રાજેન્દ્વસિંહ પરમાર વાઇસ ચેરમેન પદે છે.