Publish Date: Tue, 11 Jul 2017 (15:00 IST)
Updated Date: Tue, 11 Jul 2017 (15:14 IST)
અમરનાથના યાત્રીઓ પર હુમલા સંદર્ભે દેશભરમાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ ઘટનાને વખોડતા વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન અને ત્રાસવાદ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને પૂતળું બાળ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ત્રાસવાદીઓનો અડ્ડો બની ગયો છે.
અમરનાથ આતંકી હુમલા મામલો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ વલસાડ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા જશે, સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ તમામ જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજશે. અમરનાથ આતંકી હુમલા મામલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, અમરનાથ યાત્રીઓની આતંકીઓએ બર્બરતા પૂર્વક હત્યા કરી છે. ભારતે હવે જડબાતોડ જવાબ આપવો જોઈએ. ભારતની સંરક્ષણ નીતિ મજબૂત હોવી જોઈએ, દેશમાં કાયમી રક્ષા મંત્રી નથી જે હોવા જોઈએ. બીજી તરફ અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નિંદા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સતત ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લાગે તે માટે આખું રાજ્ય લશ્કરને સોંપી દેવાની માગણી સાથે વિહિપ દ્વારા સમગ્ર રાજ્યમાં દેખાવો કરવામાં આવશે.