Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા AMC કમિશ્નર વિજય નહેરા થયા હોમ કવોરેન્ટાઇન, મુકેશકુમારને ચાર્જ

કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા AMC  કમિશ્નર વિજય નહેરા થયા હોમ કવોરેન્ટાઇન, મુકેશકુમારને ચાર્જ
, બુધવાર, 6 મે 2020 (10:33 IST)
અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ તેઓ કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટાઇન  થવાનો તેમણે નિર્ણય કર્યો છે તેની જાણ રાજ્ય સરકારને કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના વાયરસ- કોવિડ-19ની પ્રવર્તમાન સંક્રમણની સ્થિતીની સંવેદના પારખીને અગ્રતાના ધોરણે અગત્યના નિર્ણયો કર્યા છે.
 
મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે.મુકેશકુમાર અગાઉ અમદાવાદ શહેરના મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે અને અમદાવાદ શહેરની સ્થિતી તેઓ પરિચિત છે તે ધ્યાને લેતા મુખ્યમંત્રીએ મુકેશકુમારને અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ સોંપ્યો છે.
 
અમદાવાદમાં કોરોના વાયરસના વ્યાપને નિયંત્રણમાં રાખવા માટે સર્વેલન્સ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ તથા મોનિટરીંગ અને સુપરવિઝનની કામગીરી સઘન અને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્યના વરિષ્ઠ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી ટુંકાગાળામાં સફળતાપૂર્વક પાર પાડનારા વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાને વિશેષ અધિકારી તરીકે નિમણૂંક આપવાનો આદેશ પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
 
કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરી છે. પંકજકુમાર અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે સેવાઓ આપી ચૂકયા છે અને હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેની તેમની ફરજ દરમિયાન રાજ્યના જિલ્લા કલેકટરોની કામગીરીનું માર્ગદર્શન, સુપરવિઝન અને મોનિટરીંગ પણ તેઓ સંભાળતા હોઇ કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન તેઓના માર્ગદર્શનમાં સુચારૂં રીતે થાય તે હેતુસર પંકજકુમારને આ વિશેષ અધિકારી તરીકે જવાબદારી સોંપી છે.
 
મુખ્ય સચિવ અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસીપલ કમિશનર મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસીપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોના વધુ ઘાતક બન્યોઃ કુલ પોઝિટીવ કેસ 6245, કુલ મૃત્યુ આંક 368