Publish Date: Thu, 21 Jun 2018 (12:26 IST)
Updated Date: Thu, 21 Jun 2018 (12:31 IST)
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે શુક્રવારના રોજ ભારતની નાગરિકતા માટે અરજી કરનારા 90 અરજદારોને ડોક્યુમેન્ટ્સ સોંપશે. આ 90 અરજદારોમાંથી મોટાભાગના પાકિસ્તાનના હિન્દુઓ છે. આ અરજદારો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કેટેગરીના છે. દેશભરમાં સૌથી વધારે નાગરિકતાના સર્ટિફિકેટ અમદાવાદમાં આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 320 લોકોને નાગરિકતા આપવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફિશિયલ રીલિઝમાં લખવામાં આવ્યું છે કે, ભારત સરકારની 23 ડિસેમ્બર, 2016ની નોટિફિકેશન અનુસાર અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના જિલ્લા કલેક્ટર પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવાની સત્તા છે. અહીં લઘુમતીમાં હિન્દુ, જૈન, પારસી, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે.2017માં જુલાઈ અને નવેમ્બર મહિના દરમિયાન પાકિસ્તાનના અનેક હિન્દુ અને સિંધી સમાજના સભ્યોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.