Publish Date: Wed, 18 Dec 2019 (11:52 IST)
Updated Date: Wed, 18 Dec 2019 (11:54 IST)
પંચમહાલમાં આવેલા શહેરા તાલુકામાં મોરવા અને ગોકળપુરા વચ્ચે એક કારે વહેલી પરોઢે ચાલવા નિકળેલા રાહદારીઓને અડફેટે લેતા ત્રણનાં મોત નીપજ્યાં છે. કાર ચાલક ઘટનાસ્થળે કાર મુકીને ફરાર થઇ ગયો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મુજબ કારનાં માલિકનું નામ રાજેશ બાબર પટેલ છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી સામેથી આવી રહેલી અન્ય કાર નહીં દેખાતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ત્રણ વૃદ્ધોને અડફેટે લેતા તેમના ઘટનાસ્થળે જ મોત થયા છે. તમામ મૃતકો મોરવા રેણા ગામનાં રહેવાસી હતા. આ અકસ્માતમાં 62 વર્ષનાં ડૉ. સુરેશ એન. પટેલ, 60 વર્ષનાં પટેલ ગુણવંતભાઇ નાથાભાઇ અને 60 વર્ષનાં વાળંદ રણછોડભાઇ મગનભાઇનાં મોત થયા છે. અક્મસાતમાં કારનો આગળનો કાંચ તૂટી ગયો છે તેમજ બોનેટ અને આગળની લાઇટ પણ તૂટી ગયા છે જેના પરાથી આ અકસ્માત વખતે કાર પૂરઝડપે આવી રહી હોવાનો અંદાજ છે. કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાસી છૂટ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કાર ગોકળપુરા ગામની જ છે. કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.