Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત, બાળકોની આ સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે

Minister Rishikesh Patel
ગાંધીનગર , શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (18:42 IST)
વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી. જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જેથી હવે બાળકોના માતા-પિતાને એક પણ રૂપિયાના ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસસર બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના 90 ટકા અને વાલી દ્વારા 10 ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું. 
 
કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા સંદર્ભે જાહેરાત
હાલ રાજ્યમાં 1365 જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે પસંદ કરાયા છે.જે પૈકી ચાલુ વર્ષે 700 જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્ષ્ટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઇ આવી છે. જેમાં એસેસમેન્ટ, ફીટીંગ અને મેપીંગ કેપેસીટીનો સમાવેશ થાય છે. એક બાળકદીઠ અંદાજીત 5 લાખનો ખર્ચ થશે. આમ અંદાજીત 35 કરોડના ખર્ચે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ મળશે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યના 3163 જેટલા બાળકોની 221 કરોડના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સર્જરી કરાય છે જેનો અંદાજીત ખર્ચ 7 લાખ છે.
 
બાળકો શ્રવણ શક્તિ ગુમાવી ના બેસે તે માટે નિર્ણય કરાયો
આ ઇમ્પ્લાન્ટમાં વપરાતા પ્રોસેસર સમય જતા, ટેકનોલોજી એડવાન્સ થતા, અપગ્રેડ થતા, ટેકનોલોજી અપડેટ થતા કેટલાક કિસ્સામાં બદલવાની જરૂર રહે છે.વધુમાં કેટલાક કિસ્સામાં ખોવાઇ જાય, તૂટી જાવાના કારણે પણ બાળક પોતાની શ્રવણ શક્તિ ફરી ગુમાવી ન બેસે તે માટે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ બાળકને ૧૦૦ સ્પીચ થેરાપીના સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે. સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ બાળ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ,એસ.ટી. ના ભાવ મુજબ આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોસ્ટ મોર્ટમ હાઉસ મૃતદેહો વચ્ચે ગંદું કામ, 3ની ધરપકડ