Publish Date: Fri, 04 Oct 2019 (12:30 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (12:32 IST)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આચાર સંહિતા સંબંધી ચેકીંગમાં ગુજરાતની 13 આંગડીયા પેઢીનાં કરોડો રૂપિયાના મુલ્ય ધરાવતાં 2000 પાર્સલ જપ્ત કરી લેવામાં આવતા રાજયભરનાં હીરા-ઝવેરી બજારમાં ખળભળાટ સર્જાયો છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. રોકડ વગેરેની હેરાફેરી પર ખાસ વોચ શરૂ કરવામાં આવી છે.ત્યારે મુંબઈનાં બોરીવલી રેલવે સ્ટેશન પર જીએસટી આવકવેરા સહિતનાં વિભાગોએ સંયુકત ચેકીંગ હાથ ધર્યું હતું ગુજરાત મેલ ટે્રનને નિશાન બનાવી હતી તેમાં પ્રવાસ કરી રહેલા 13 આંગડીયા પેઢીઓનાં 20 કર્મચારીઓને ઉઠાવાયા હતા અને તેમની પાસેથી કરોડો રૂપિયાનાં મુલ્ય ધરાવતા હીરા-દાગીનાના 2000 પાર્સલો જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિગતોમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ક્રવેરા વિભાગે જપ્ત કરેલા પાર્સલમાં રહેલા હીરા તથા દાગીનાનું મૂલ્ય 200 કરોડ થવા જાય છે. ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત આવકવેરા વિભાગે મુંબઈમાં હાથ ધરેલી ચેકીંગ કાર્યવાહીમાં 4 કરોડની બિન હિસાબી રકમ જપ્ત કરી હતી.
નવરાત્રી-દિવાળીનાં તહેવારોને કારણે હીરા-ઝવેરાત માર્કેટમાં લાંબા વખત પછી ઓર્ડરો નિક્ળવા લાગ્યા છે તેવા સમયે સરકારી
વિભાગોઅહે આચાર સંહિતાના નામે 200 કરોડના હીરા-દાગીના જપ્ત કરી લેતા આંગડીયા પેઢીએ ઉપરાંત હીરા અને ઝવેરી બજારમાં પણ ખળભળાટ સર્જાયો છે. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોનાં હીરા-સોનાના વેપારીઓનો આ માલ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સુરત આંગડીયા એસો.નાં પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હોવાની ખબર છે. પરંતુ આચાર સંહિતાના નામે કરવેરા-સરકારી વિભાગો આંગડીયા પેઢીઓને હેરાન કરે તે યોગ્ય નથી. કરોડો રૂપિયાનો માલ જપ્ત થઈ ગયો છે અને તે છોડાવવામાં દિવસો લાગી શકે છે. આ તમામ માલ હીરાના વેપારીઓ ઝવેરીઓનો હોય છે.માલ મુકત કરાવવા માટે જરૂરી દસ્તાવેજો સોંપવા પડશે.અધિકારીઓ વધુ દસ્તાવેજો માંગીને બીનજરૂરી હેરાનગતિ કરી શકે છે. તહેવારોના ટાણે જ કરોડોનો માલ જપ્ત થયા વિના મોટા પ્રત્યાઘાતો પડી શકે તેમ છે. મહિનાઓની મંદી બાદ હીરા ઝવેરાતમાં તહેવારોની ઘરાકીનો આશાવાદ સર્જાયો છે.કરોડોનો માલ સલવાતા સમગ્ર વેપાર પ્રવૃતિ પર અસર થવાનું સ્પષ્ટ છે.
આ સમગ્ર ઘટનાક્રમ વિશે ટોચના વેપાર સંગઠનોનું ધ્યાન દોરવામાં આવ્યું છે.વહેલીતકે આ કોકડુ ઉકેલવા માંગ કરવામાં આવી છે.નોટબંધી તથા જીએસટી કાયદા લાગુ થયા પછી આંગડીયા પેઢીઓ માત્ર કાયદેસરનો જ વ્યવહાર કરવા લાગ્યા છે. છતા આચાર સંહિતાનાં નામે હેરાનગતિ સામે જબરો ઉહાપોહ છે. જપ્ત કરાયેલા તમામ પાર્સલોનાં યોગ્ય દસ્તાવેજો મૌજુદ હોવા છતાં તે અટકાવવામાં આવ્યા છે.