Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

USA –યુ.કે સહિત વિશ્વના ૧૧ દેશોમાંથી વતન પહોચ્યા 1958 ગુજરાતીઓ

USA –યુ.કે સહિત વિશ્વના ૧૧ દેશોમાંથી વતન પહોચ્યા 1958 ગુજરાતીઓ
, ગુરુવાર, 28 મે 2020 (11:05 IST)
કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓને તા.ર૭મી મે બુધવાર સુધીમાં વંદેભારત મિશન અન્વયે સ્વદેશ-વતનભૂમિ પરત લાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીએ લોકડાઉનની સ્થિતીમાં જ્યારે આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ બંધ છે ત્યારે અન્ય દેશોમાં ફસાઇ ગયેલા ભારતીઓ-ગુજરાતીઓને વતન પરત લાવવા માટે વિશેષ વિમાનની સેવાઓ વંદેભારત મિશન અંતર્ગત શરૂ કરવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો વિશેષ આભાર માન્યો છે.
 
અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, કોરોનાની મહામારીમાં અન્ય રાષ્ટ્રોમાં અભ્યાસ કરવા ગયેલા અને અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓ, પરિવારોને વતનભૂમિમાં ઘર, પરિવાર પાસે લાવવાના હેતુથી ભારત સરકારના વિદેશ મંત્રાલયે તા.૭મી મે થી વંદેભારત મિશન શરૂ કર્યુ છે. વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર-વણજ કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાયરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહિ કરવામાં આવી છે.
 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તા.૧રમી મે એ યુ.એસ.એ. થી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં ૧૩પ ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાં ક્રમશ: કુવૈત-૧૪૬, ફિલીપાઇન્સ-૧૫૫, યુ.કે.-૩૦૩, મલેશિયા-૪૮, ઇન્ડોનેશિયા-૩૮, યુ.કે-૧૩૨, યુ.એસ.એ-૭૩, ઓસ્ટ્રેલિયા-૨૧૭, ફિલીપાઇન્સ-૧૭૭, સિંગાપોર-૯૩, બેલ્લારૂસ-૧૦ર, કેનેડા-૧૭૬ અને ફ્રાન્સ-૬૬ મળીને સમગ્રતયા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓ વતનભૂમિ પરત ફર્યા છે.
 
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે આવા અન્ય રાષ્ટ્રોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ‘વંદેભારત મિશન’નો બીજો તબક્કો તા.૧૬મી મે થી શરૂ કર્યો છે જે તા.૧૩મી જૂન સુધી ચાલુ રહેવાનો છે. તેમણે કહ્યું કે, આ દરમ્યાન ગુજરાતી યાત્રિકોને લઇને જે ફલાઇટ વિશ્વના દેશોમાંથી આવવાની છે. તેમાં, તા.ર૯મી મે એ અને તા.૩૧મી એ યુ.એ.ઇ.થી, તા.૩૦મી મે એ ઓમાન અને કતારથી, તા.૧ લી જૂને કુવૈતથી તા.૮મી જૂને યુ.કે.થી બે ફલાઇટ તેમજ તા.૯મી જૂને યુ.એસ.એ.થી બે ફલાઇટ ગુજરાત આવશે.
 
આ વિશેષ ફલાઇટમાં યુ.કે.થી-૪૮૬, યુ.એસ.એ.થી-૬૩૮ તેમજ ગલ્ફ કન્ટ્રીઝના કુલ-૭૪પ એમ સમગ્રતયા ૧૮૬૯ ગુજરાતીઓ પોતાની માતૃભૂમિમાં પરત આવશે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં રહીને તા.રપમી મે સુધીમાં ૧પ૮ વિશેષ ફલાઇટસ દ્વારા ૩૦ હજાર જેટલા ભારતીય મૂળના નાગરિકો-લોકોને વંદેભારત મિશન અન્વયે સ્વદેશ પરિવારજનો પાસે પહોચાડયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદથી ગુવાહાટી જતી ફ્લાઇટમાં 2 મુસાફરો કોરોના ચેપ