Publish Date: Mon, 01 Jun 2020 (13:12 IST)
Updated Date: Mon, 01 Jun 2020 (13:15 IST)
રાજકોટ ST ડિવીઝન દ્વારા આજે રાજકોટ-જૂનાગઢ રૂટની સવારની 8 વાગ્યાની બસ રદ કરવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોએ ST બસસ્ટેન્ડની અંદર હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ પોતાના મોબાઇલ ફોનમાં બસ રદ કરવામાં આવી તેના કોઇ મેસેજ આવ્યા નથી તેનો પૂરાવો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. મુસાફરો ST તંત્રથી નારાજ થયા હતા. ડેપો મેનેજર પણ હાજર ન હોવાથી અને ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મુસાફર ભાર્ગવભાઇએ જણાવ્યું હતું કે, આઠ વાગ્યાની બસ છે જેમાં એક બસની અંદર ત્રણ-ત્રણ જાતની ટિકિટ આપવામાં આવી છે. જેમાં લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરીનો સમાવેશ થાય છે, આ કંઇ રીતે બને. બસ કેન્સલ કરી તેનો કોઇ અહીં જવાબ આપતું નથી. કોઇ મેસેજ આવ્યો નથી. અત્યારે બે-ત્રણ કલાકે લેઇટ બસો જાવા દે તો શું કરવાનું? આવી રીતની તકલીફ છે. કોઇ ફોન ઉપાડતું નથી. અમારી બસ આખી ફૂલ હતી.