હરિયાણામાં શરૂ થયેલા જાટ આંદોલનની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી હોય તેમ લાગે છે. અમદાવાદ નજીકના બોટાદમાં ગઈકાલે રાત્રે અને રવિવારે રાત્રે તથા જસદણમાં પણ એક એસ.ટી. બસ મળી કુલ ત્રણ બસને આગ ચાંપવાના બનાવ નોંધાયા છે જસદણના આટકોટ-સાણથલી રોડ ઉપર આવેલા જુના પીપળીયા ગામમા ગોંડલ ડેપોની ગોંડલ-પીપળીયા રૂટની એસ.ટી. બસને સળગાવતા દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ-પીપળીયા રૂટની બસ (નં.જી.જે.18 વાય 7464) રાત્રી રોકાણ પીપળીયામા કરે છે ત્યારે રાત્રીના કોઇ અજાણ્યા શખ્સોના ટોળાએ પેટ્રોલ-કેરોસીન લઇને આવ્યા હતા.અને બસને આગ ચાંપી દેવામાં આવી હતી.
જેથી અંદર સુતેલા ડ્રાઇવર કંડકટરે રાડારાડ કરી મુકતા ગામ લોકોએ પાણીનો મારો ચલાવતા આગ કાબુમા આવી હતી.અને ડ્રાઇવર-કંડકટરનો બચાવ થયો હતો. એસ.ટી.ના ડ્રાઇવર શાંતીલાલ જેઠાભાઇ ધોળીયા (પટેલ)એ ફરિયાદ કરતા 307, 435,120 બી.મુજબ ડ્રાઇવર-કંડકટરને મારી નાંખવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ કરી છે.
જસદણ ડેપોના ટી.સી.અબ્દુલ ચૌહાણ, આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સપેકટર નુરમહમદભાઇ પરમાર, જસદણના ઇન્ચાર્જ પી.આઇ.અરવિંદસિંહ જાડેજા સ્ટાફ સાથે દોડી ગયા હતા. રાજકોટના રૂરલ એસપી અંતરીપ સુદે પણ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતીનુ નિરીક્ષણ કર્યુ હતું. બોટાદ પંથકમાં શનીવારે રાત્રીના લાઠીદડમા પાલનપુર બોટાદ તથા કાલે રાત્રીના બોટાદ-સનાળી રૂટની બસને તુરખા પાસે સળગાવી દેવામાં આવી હતી.
જેથી વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડેપો મેનેજર બી.એન.ઓડ દ્વારા કાલે રાત્રીથી બોટાદ ડેપોની નાઇટ હોલ્ટ કરતી બસોને બોટાદ બોલાવી લીધી હતી. બોટાદ એસ.ટી.ના લોકલ રૂટ રદ કરી દેવાયા છે. તેમજ અન્ય ડેપોની બસોને બોટાદથી ડાયવર્ટ કરાઇ છે બોટાદ ડેપો મેનેજર શ્રી ઓડે જણાવ્યુ છે પેસેન્જરોની સલામતી માટે અને એસ.ટી. બસને રદ કરી દેવાઇ છે. આટકોટમાં જસદણ-ભાવનગર ચોકડીએ પાસના આગેવાનો દ્વારા ભાવનગર-ભુજ રૂટની બસમાં પથ્થર મારો કરીને કાચ ફોડી નાંખ્યા હતા.