પાટીદાર અનામત આંદોલનને કારણે ગુજરાતમાં ભાજપને ડેમેજ થયું છે એ વાતનો નનૈયો કોઈ પાડી શકે એમ નથી. ભાજપ અને સાથોસાથ આરએસએસ માટે ગુજરાત હંમેશાં લેબોરેટરી રહ્યું છે એવા સમયે ગુજરાતમાં ભાજપને માર પડે એ પણ કોઈ હિસાબે ચલાવી શકાય એમ નથી. આ અને આવાં બીજાં કારણોસર ગુજરાતમાં મુખ્ય પ્રધાનથી માંડી અનેક સ્તર પર નેતા અને પ્રધાન ચેન્જ કરવા પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. આ વિષય પર આરએસએસ અને ભાજપ વચ્ચે થયેલી સમન્વય બેઠકમાં પુષ્કળ ચર્ચા થઈ હતી જેમાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પોતાનો પક્ષ મૂકવાની સાથોસાથ નેવું દિવસની મહોલત પણ માગી છે. આ સમયગાળામાં કોઈ પણ હિસાબે પાટીદાર અનામત આંદોલનનો નિવેડો સુખદ રીતે આવે અને ભાજપ માટે હંમેશાં જે કમ્યુનિટી ગઢ જેવી રહી છે એ પાટીદારોને પણ પાર્ટી પ્રત્યે પહેલાં જેવી જ લાગણી થઈ જાય એવું કરવામાં આવે એ પ્રકારનાં પગલાં ગુજરાત સરકાર તરફથી લેવામાં આવશે.
બીજી બાજુ હાર્દિકે કહ્યુ હતુ કે સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાનની વાતો જે ચાલી રહી છે તે સાચી છે. 7 મહિનાથી પાટીદારો માટે અનામતની માંગની કરી રહેલ હાર્દિકે પહેલીવાર સમાધાનકારી વલણ અપનાવ્યુ છે.
નવાઈની વાત એ હતી કે આ અગાઉ સુરતથી વિસનગર જતા હાર્દિકે કહ્યુ હતુ કે જેલમાં સજા કાપીશુ અને બહાર આંદોલન કરીશુ. આ નિવેદનના થોડા જ કલાકમાં એકાએક હાર્દિકે સમર્થનકારી વલણ અપાનવતા ચર્ચાનો વિષય બન્યો છે.
હાર્દિકના સમાધાનકરી વલણ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના સહકન્વિનર ધાર્મિક માલવિયાએ જણાવ્યુ હતિ કે સરકાર ખરેખર કોઈ નિવેડો લાવવા માંગતે હોય તો અમને સમાધાનકારી વલણ અપનાવવામાં કોઈ વાંધો નથી. અમારી માંગ છે કે 14 જણને જેલમાં ખોટી રીતે રાખ્યા છે. તેમને 30 જાન્યુઆરી પહેલા મુક્ત કરવામાં આવશે તો અમે એક મહિના સુધી કોઈ આંદોલનના કાર્યક્રમો આપીશુ નહી. સરકાર સાથે વાટાઘાટો કરીશુ. ત્યારબાદ આંદોલન ચાલુ રાખવા બાબતે નિર્ણય લઈશુ.
શુક્રવારે રાત્રે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે અને શનિવારે ભાજપ-આરએસએસની સમન્વય બેઠક દરમ્યાન અન્ય સિનિયર નેતાઓ સાથે આનંદીબહેન પટેલની થયેલી મીટિંગ અનેક રીતે સૂચક પુરવાર થઈ રહી છે. આરએસએસ આનંદીબહેન પટેલ સાથે મહદંશે સહમત છે અને અત્યારે ગુજરાતમાં સત્તાપરિવર્તનને બદલે પાટીદારોનું વિચારપરિવર્તન થાય એ દિશામાં કામ કરવા માટે તૈયાર થયો છે.