ગુજરાતમાં પાટીદારો ઓબીસી કેટેગરી હેઠળ અનામત માટે આંદોલન કરી રહ્યાં છે, ત્યારે સમાજના યુવા સાહસિકોને પ્રોત્સાહન આપવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ પણ એક સાથે આગળ આવીને આવતા એક વર્ષમાં 500 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ ફંડ ઉભું કરવાનું આયોજન કરી રહ્યાં છે. સરદારધામ-વિશ્વ પાટીદાર કેન્દ્ર અંતર્ગત ગુજરાતના 180થી પણ વધુ પાટીદાર બિઝનેસમેન ભેગા થયા હતા. આ ઉદ્યોગપતિઓએ 6-7 ઑગસ્ટના રોજ અમદાવાદમાં બેઠકનું આયોજન કર્યું હતું.
આ બેઠકમાં ઉદ્યોગપતિઓએ પાટીદાર સમાજ ‘વિઝન 2026’ પર વિસ્તૃત ચર્ચા કરી હતી તેવી માહિતી અગ્રણી એક અખબારમાં અહેવાલ રૂપે પ્રસિદ્ધ થઈ છે. આ બેઠકમાં વરમોરા ગ્રૂપના પ્રકાશ વરમોરા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના પ્રમુખ બીપીન પટેલ અને ઉપ-પ્રમુખ કે.ટી.પટેલ, એશિયન ગ્રેનિટોના CMD કમલેશ પટેલ, મેઘમણી ગ્રૂપના જયંતિભાઈ પટેલ અને નટવરલાલ પટેલ, તેમજ GCCIના ભૂતપૂર્વ પ્રમુખ શંકરભાઈ પટેલ હાજર રહ્યાં હતા.
આ ઇવેન્ટનું આયોજન કરનાર પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું કે આવતા 10 વર્ષમાં અમારા સમાજના એન્ટરપ્રિન્યોરની સંખ્યામાં મોટો વધારો થાય. અમારા વિઝનની અંતર્ગત અમે પાટીદાર બિઝનેસ કોમ્યુનિટી માટે એક પ્લાન તૈયાર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે પણ અમેરિકા અને યુરોપના તર્જ પર દેશમાં અમારા સમાજના લોકો વેપાર-ધંધો કરી આગળ આવે તેવી ઇચ્છા છે.