Publish Date: Tue, 28 Aug 2018 (11:37 IST)
Updated Date: Tue, 28 Aug 2018 (11:41 IST)
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ચોથો દિવસ છે. તે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા. ઉપરાંત તેના ઉપવાસમાં સમર્થનમાં આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના અલગ-અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો તેના ઉપવાસના સમર્થનમાં પહોંચશે. ઉલ્લેખનીય છે કે ઉપવાસના બીજા અને ત્રીજા દિવસે મેડિકલ ટીમે તેનું ચેકઅપ કર્યુ હતું. ઉપવાસના ત્રીજા દિવસે સોમવારે કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિક પટેલને ટેકો આપવા તેના નિવાસ સ્થાને પહોંચી તેની મુલાકાત લીધી હતી. જેમાં મોહનસિંહ રાઠવા, પુજા વંશ, વિરજી ઠુમર અને હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાયછે. પોલીસે પ્રવેશ ન આપતા ધારાસભ્યોએ રોડ ઉપર બેસીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિકને ટેકો જાહેર કર્યો હતો.હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે