Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રી દરમિયાન અંબાજીમાં ભક્તોની આરોગ્ય સલામતી માટે વિશેષ વ્યવસ્થા, જાણો નવરાત્રીમાં કેમ છે દર્શન કરવાનુ મહત્વ

નવરાત્રી દરમિયાન અંબાજીમાં ભક્તોની આરોગ્ય સલામતી માટે વિશેષ વ્યવસ્થા, જાણો નવરાત્રીમાં કેમ છે દર્શન કરવાનુ મહત્વ
, ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (09:42 IST)
જગત જનની મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ચાલુ વર્ષે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીને પગલે સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં વ્યાપેલી નિરાશા વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આદ્યશક્તિ મા અંબાની 51 શક્તિપીઠો પૈકીની મુખ્ય શક્તિપીઠ અને માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ હવે ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી 51 શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે.
 
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ 19 અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે.
 
આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્ષી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. દરેક શ્રદ્ધાળુએ મંદિરમાં ફરજિયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
 
મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે.
 
1600 ફૂટની ઊંચાઈએ આવેલું માં અંબાનું મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વત અંબાજી ધામ પણ ભાવિકભક્તો માટે ખુલી ગયું છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર પર્વત અંબાજીથી ત્રણ કી.મી. ના અંતરે સ્થિત છે. માતાજીના ૫૧ શક્તિપીઠોમા પ્રમુખ શક્તિપીઠ મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપર મા અંબાજીના અખંડ જ્યોતના સંપૂર્ણ દર્શન માટે રોપવે (ઉડનખટોલા) યાત્રિકોની સેવામાં તકેદારી અને સભાનતાની સાથે કાર્યરત છે.
 
અંબાજીના પવિત્ર ગબ્બરનું પૌરાણિક મહત્વ
·         અરવલ્લીની ગિરિમાળામા ગબ્બર પર્વત વર્ષો જુનો છે.
·         દેવી સતીનું હદય આ સ્થાન પર પડેલ હોવાથી “હદયપીઠ” પણ કહેવામાં આવે છે.
·         ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે.
·         માં અંબાના પવિત્ર પ્રાગટ્ય સ્થાને માં ના પગલા અને રથના નિશાન આજે પણ મોજુદ છે.
·         માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ચૌલકર્મ (બાબરી) વિધિ ગબ્બર પર્વત ઉપર થઇ હતી.
·         ગબ્બર પર્વત સ્થિત પારસ પીપળીના વૃક્ષ પર મહિલાઓ અખંડ સૌભાગ્યની રક્ષા માટે દોરો અને   બંગડી બાંધે છે.
·         અતિ પ્રાચીન સમયમા રાવણને મારવા માટે માં અંબાએ પવિત્ર પ્રાગટ્ય સ્થાન ગબ્બર ઉપર રામને અજય બાણ આપ્યું હતું, જે બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે
·         આ પવિત્ર સ્થાન એકાવન શક્તિપીઠોમાં હદયસમાન છે.
·         ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત હોય છે, જે હાલના અંબાજી મંદિરથી સીધી લીટીમા દેખાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીની Sweets: સ્વાદિષ્ટ પાઈનાપલ બરફી