મોહેંજો-દડો- હડપ્પા, શ્રીમદૂ ભાગવદ'' થી માંડીને આમીરખાનની ''લગાન'' સુધી જીવંત રહેલો...ગરબો...
ગુજરાતની અસ્મિતા સમો ગરબો, ગુજરાતની આગવી ઓળખ છે ગુજરાતની યુવતીઓ અને ગૃહિણીઓને ગરબાએ ઉર્મિથી ધબકતા રાખ્યા છે કારણ કે ગરબો ગુજરાતણનો છે...
ગુરૂદેવ રવિન્દ્રનાથે કહ્યું છે કે જયાં શબ્દનું સામર્થ્ય સમાપ્ત થાય છે ત્યાંથી સંગીત શરૂ થાય છે. તેને જરા આગળ ખેંચીએ તો સંગીત સાથે તાળી, ચપટી અને સ્ત્રીનું લાલિત્ય ભળે છે ત્યારે ગરબો શરૂ થાય છે. ગુજરાતની અસ્મિતા, સમો ગરબો, ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતની શહેરીગૃહિણીઓ, યુવતીઓ અને ગ્રામ્ય ગૃહિણીઓને ગરબા એ ઊર્મિથી ધબકતા રાખ્યા છે કારણ કે ગરબો ગુજરાતણનો છે. તારલા મઢેલી રઢિયાળી નવરાતરની રાતોમાં નાની છોકરીઓથી માંડી વૃદ્ધાઓ સુધી સૌ પોત પોતાની રીતે ગરબામાં ખોવાઇ જાય છે અને એક જબજસ્ત ભકિત અને આનંદનું માહોલ રચાય છે તે જ નવરાત્રીના પર્વોનું સાતત્ય ગણી શકાય. ગરબો અને સ્ત્રી એકબીજા સાથે અભેઘ રીતે જોડાયેલા રહ્યા છે.
ગરબાની સાદી વ્યાખ્યા કરીએ તો ગાગર કે કોરેલો ઘડો જેમાં દીવો મૂકીને ફરતે ગોળ વર્તુળાકારે સ્ત્રીઓ લયબદ્ધ રીતે ફરે. ગરબાનું સ્થાપન એટલે આઘશકિતનું સ્થાપન. તે અંગે અનેક દંતકથાઓ છે. આસુરી તત્વો સામેનું મારણ એટલે આઘશકિત. જયારે જયારે શકિતની પરાકાષ્ટા મેળવવી હોય ત્યારે ત્યારે સ્ત્રી શકિતનો ઉપયોગ થાય છે. ગરબાની વ્યાખ્યા ગુઢાર્થમાં જોઇએ તો આ ઉપાસના પાછળ સંતાન પ્રાપ્તિનો હેતુ છે. ગર્ભદીપમાં ગર્ભ, ગર્ભાશયનું પ્રતીક છે અને દીવો ગર્ભમાં ઉછરતા સંતાનનું પ્રતીક છે. આ કારણસર લગભગ દરેક જગ્યાએ ગરબા સાથે સ્ત્રી સંકળાયેલી જોવા મળે છે.
ગરબાની ઉત્પત્તિનો ઉલ્લેખ હડપ્પા અને સીંધ સંસ્કૃતિથી જોવા મળે છે. તે દરમ્યાન ખોદકામમાંથી મળી આવેલા નળાકાર ઘડા ગરબાની હયાતિ હતી તેની સાક્ષી પૂરે છે. લોથલ ગામમાંથી પણ તે અવશેષ મળી આવ્યા છે. કાલીદાસના માલવીકાઅગ્નિ મિત્રમૂ નાટકમાં અને મહાભારતમાં કૃષ્ણની રાસલીલા ગરબો આદિકાળની ઉત્પત્તિ હોવાની સાક્ષી પૂરે છે.
શ્રાદ્ધના દિવસોમાં પિતૃ- પૂર્વજોનું તર્પણ કર્યા પછી મૃત્યુનું સાતત્ય સમજ્યા પછી નવરાત્રીનો તહેવાર આવે છે. નવરાત્રીના તહેવારોનું હાર્દ છે આનંદ અને ઉલ્લાસ. સ્ત્રી પોતાના સઘળા દુ:ખો ભૂલીને સૈયરો સાથે ગરબે ઘૂમવા લાગી જાય છે. આ ગરબો એટલે ગોરીની તાળી, ચપટી ઠેશ, લચક, કાવ્ય અને સંગીતનો સંગમ.
ગરબામાં સ્ત્રીઓ જે તાળી મારી લયબદ્ધ રીતે ઘૂમે છે તેના પર જ તેની રમઝટ ઝામે છે. તેનાથી ગરબાની લય જળવાય છે. ગરબો એકતાલીનો, બેતાલીનો ત્રણતાલીનો હોય છે. તાળીની લય સાથે અંગનું ડોલન થાય છે આથી સ્ત્રીઓનું લાલિત્ય પણ જળવાય છે. તાળી સાથે ખાલી સમને જાળવા ને વિવિધતા ઉમેરવા ચપટીનો ઉપયોગ પણ થાય છે. ઘણીવાર ચપટીની જગ્યાએ મંજીરા પણ વપરાય છે. ગોરીના ગરબે ઘૂમતા ઘૂમતા લચક અને ઠમકા પરતો સાહિત્યો રચાયા છે. પગથી મરાતી ઠેશ અને લચક લેતી વખતે આખું શરીર ડોલે છે. ત્યારે ગરબાની પરાકાષ્ઠા આવે છે.
ગરબામાં આ ઉપરાંત કાવ્ય અને સંગીતનું મહત્વ પણ તેટલું જ છે. પહેલ વહેલા ગરબાના રચઇતા વલ્લભ મેવાડા તેમની કૃતિમાં આઘશકિતની સાથે ગરબાનો વૈભવ પણ જળવાય છે.
માથે કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી,
માંહે રત્નો દીવને કીધો રે, રંગમાં રંગતાળી
આ પછી દયારામ, દલપતરામ, ભાણ, પ્રીતમદાસ, જેવા આઘકવિઓ, નરસિંહ-મીરા જેવા મધ્યકાલીન કવિઓના ગરબામાં સાહિત્ય ખાસ જળાઇ રહ્યું છે. આ ઉપરાંત આઘ કવિ નાન્હાલાલ. જેવા કવિઓનાં પ્રિય વિષયોમાં પ્રિયમતમ, દેરાણી-જેઠાણી, સાસુનણંદી જેવા કૌટુમ્બિક પાત્રો અને કૃષ્ણરાધા જેવા પ્રેમી ઐત્યાસિક પાત્રોની આસપાસ ગરબાના વિષયો ગૂંથાયેલા રહ્યા છે. ગરબો પ્રાચીન હોય કે અર્વાચીન શબ્દો સાંભળતા અને ઢોલીનો થડકાર સાંભળતા જ ગરબે ઘૂમવાનું મન થઇ આવે છે.