Publish Date: Mon, 23 Mar 2020 (12:50 IST)
Updated Date: Mon, 23 Mar 2020 (12:52 IST)
વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે. શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી અગાઉ એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દીકરી અને પુત્રવધુનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે.
21 માર્ચે શ્રીલંકાથી પરત આવેલા 12 લોકોના ગૃપ પૈકી 52 વર્ષીય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હવે તેના પરિવારના 3 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા તંત્ર દોડતુ થઇ ગયું છે. જેમાં 52 વર્ષના પતિ, તેની પત્ની, 27 વર્ષની પુત્રી અને 29 વર્ષની પુત્રવધૂનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરામાં રવિવારે મોતને ભેટેલા બે દર્દીઓનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
25 માર્ચ સુધી વડોદરા શહેરમાં જીવનજરૂરીયાત અને આરોગ્ય સિવાયની વિવિધ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે લોકોએ વેપાર-ધંધા બંધ રાખ્યા છે પરંતુ આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે અને ઘણા લોકોને સમજાવીને ઘરે પણ મોકલ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે લેબ શરૂ કરવાની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી. બે દિવસમાં આ સુવિધા કાર્યરત કરી દેવા વડોદરા જિલ્લા કલેકટરે સૂચના આપી છે.
શહેરમાં 4 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ અને વૃદ્ધનું મોત થયું છે. કોરોનાના વધી રહેલા પ્રકોપના કારણે તેકેદારીના ભાગ રૂપે સુરત શહેરને 25 માર્ચ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. આવશ્યક વસ્તુ અને સેવામાં આવતી સંસ્થાને ચાલુ રાખવામાં આવી છે. ગત રોજ જતના કર્ફ્યુને લઈએ લોકો સવારે સાતથી રાતના 9 વાગ્યા સુધી ઘરમાં રહ્યા હતા. જોકે, ત્યારબાદ કેટલાક વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા. પોલીસ દ્વારા પણ ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી. જોકે, આજે સવારે ફરી લોકો બહાર નીકળ્યા હતા. ઈમરજન્સી કામ માટે જતા લોકોને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે અન્યોને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મહિધરપુરા હીરા બજાર પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.