Publish Date: Tue, 10 Dec 2024 (10:13 IST)
Updated Date: Tue, 10 Dec 2024 (10:27 IST)
SM Krishna passed away: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન થયું છે. 92 વર્ષની ઉંમરે, તેમણે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી બીમારીથી પીડાતા એસએમ કૃષ્ણાને 2023માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એસએમ કૃષ્ણાએ તેમની રાજકીય કારકિર્દીનો મોટો હિસ્સો કોંગ્રેસ પક્ષમાં વિતાવ્યો હતો પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સહિત કોંગ્રેસ અને ભાજપના ઘણા નેતાઓએ એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
અંગ્રેજી અખબાર ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ, બેંગ્લુરુને 'ભારતની સિલિકૉન વૅલી' તરીકે વિકસાવવાનો શ્રેય ક્રિષ્નાને આપવામાં આવે છે.
વર્ષ 1962માં તેઓ અમેરિકાથી પરત ફર્યા એ પછી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમણે રાજ્ય તથા લોકસભાના સંસદસભ્ય તરીકે કારકિર્દી આગળ ધપાવી. એક તબક્કે તેઓ કર્ણાટકના નાયબ મુખ્ય મંત્રી બન્યા.
વર્ષ 1999માં તેઓ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા. એ પછી તેમને મહારાષ્ટ્રના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.
ક્રિષ્નાને યુપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ) સરકારના બીજા કાર્યકાળ દરમિયાન વર્ષ 2009થી 2012 દરમિયાન દેશના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને પઠી હઠાવી દેવાયા હતા. એ પછી રાજકીય દૃષ્ટિએ તેઓ મહદંશે નિષ્ક્રિય જ હતા.
પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા ક્રિષ્નાએ વર્ષ 2017માં કૉંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા.