Publish Date: Wed, 17 Oct 2018 (09:40 IST)
Updated Date: Thu, 14 Nov 2019 (10:34 IST)
સુપ્રીમ કોર્ટના આદેશના 20 દિવસ પછી સબરીમાલા મંદિરના કપાટ આજે સાંજે પાંચ વાગ્યે ખુલવા જઈ રહ્યા છે. પણ અહી મહિલાઓને પ્રવેશ ન આપવાને લઈને સતત અનેક કોશિશ થઈ રહી છે. તનાવપૂર્ણ સ્થિતિને જોતા રાજ્ય સરકાર તરફથી 200 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત કુલ એક હજાર પોલીસબળને નિલેક્કલ અને પમ્પા બેસ પર ગોઠવવામાં આવ્યુ છે. જ્યારે કે શનિધાનમમાં 500 પોલીસ કર્મચારીઓને ગોઠવાયા છે. બીજી બાજુ દબાણ વધવાની રાજનીતિ પણ ગરમાય રહી છે.
સંપૂર્ણ કોશિશ કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓને આપવામાં આવેલ અધિકારનુ પાલન ન થઈ શકે. મંદિરના પ્રવેશ દ્વારા નિકટ દર્શન માટે આવી રહેલી સ્ત્રીઓને બસ અને કારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમને દ્વાર પર હાજર બીજી સ્ત્રીઓ પરત જવા માટે કહી રહી છે. તેમની દલીલ છે કે મહિલાઓને પ્રવેશ આપવો પરંપરાઓનુ અપમાન થશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશી શકે છે. જો કે, સુપ્રીમના આ નિર્ણયથી કેટલાક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેરળ સરકારે કમર કસી લીધી છે અને સુરક્ષાના પૂરતો બંધોબસ્ત કરી લીધો છે.સબરીમાલા મંદિરનું કપાટ બુધવારે 5 દિવસની માસિક પૂજા માટે ખુલવાનું છે. આ અવસરે મહિલા સંગઠને મંદિરમાં પ્રવેશ કરવાની યોજના બનાવી છે.
આ મામલે કેરલના મુખ્યમંત્રી પિનારઈ વિજયને મંગળવારે સ્પષ્ટ કરી દીધું કે, સબરીમાલા મંદિર મુદ્દે કોઈને કાયદો પોતાના હાથમાં લેવાની પરવાનગી આપવામા આવશે નહી. સરકાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરાવવા માટે બધી જ વ્યવસ્થા કરશે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને પડકારવા માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં કોઈ જ સમીક્ષા અરજી કરશે નહી. વિજયને કહ્યું કે, તેમની સરકાર કોર્ટને જણાવી ચૂકી છે કે, તેમના આદેશનો ગમે તેવી પરિસ્થિતિમાં પાલન કરવામા આવશે.
ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં આ પહેલા 10 થી 50 વર્ષ ઉંમરની મહિલાઓન મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અહીં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓજ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરના સંચાલકનું કહેવું છે કે માસિક ધર્મના કારણે મહિલાઓ પોતાની વ્યક્તિગત શુદ્ધતા જાળવી નથી શકતી.