મહારાષ્ટ્રના નાગપુરમાં 17 તારીખે થયેલા રમખાણોમાં ઘાયલ થયેલા 38 વર્ષીય ઇરફાન અંસારીનું શનિવારે અવસાન થયું. ઉલ્લેખનીય છે કે હિંસાના દિવસે, તે રેલ્વે સ્ટેશન પાસે ગંભીર સ્થિતિમાં ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. તે નાગપુર રેલ્વે સ્ટેશનથી ઇટારસી જવા માટે ટ્રેન પકડવા ગયો હતો. તેને ઘાયલ હાલતમાં મળ્યા બાદ, પોલીસે તેને તાત્કાલિક ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તે છેલ્લા 6 દિવસથી વેન્ટિલેટર પર હતો. અહેવાલો અનુસાર, ઇરફાન અંસારી આજે સવારે જીવનની લડાઈ હારી ગયો.
શું કરતો હતો ઇરફાન અન્સારી ?
17 માર્ચના રોજ, ઇરફાન અંસારી નાગપુર રેલ્વે સ્ટેશનથી 1 વાગ્યે ઇટારસી જતી ટ્રેન પકડવા માટે નીકળ્યો. સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ તે પોતાના ઘરેથી નીકળ્યો હતો. બડે નવાઝ નગરનો રહેવાસી ઇરફાન અંસારી વેલ્ડર તરીકે કામ કરતો હતો. ઇરફાનના ભાઈ ઇમરાને તેની હાલત વિશે જણાવ્યું હતું કે ઇરફાનને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનો એક પગ ફ્રેક્ચર થયો હતો. માથામાં ગંભીર ઈજાને કારણે, ઇરફાનને શરૂઆતથી જ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો પરંતુ તમામ પ્રયાસો છતાં, ડોકટરો તેનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયા.
રમખાણોની આગ કેમ ભડકી?
ઉલ્લેખનીય છે કે 17 માર્ચે સાંજે લગભગ 7:30 વાગ્યે સેન્ટ્રલ નાગપુરના મહલ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હિંસા દરમિયાન 3 ડીસીપી સ્તરના અધિકારીઓ સહિત 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે દક્ષિણપેઠી સંગઠનો દ્વારા કરવામાં આવેલા આંદોલન દરમિયાન પવિત્ર આયત લખેલી ચાદર સળગાવી દેવામાં આવી હોવાની અફવા વિસ્તારમાં ફેલાઈ હતી. હિંસાના આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 105 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નાગપુર હિંસાના સંબંધમાં 10 કિશોરોની પણ અટકાયત કરવામાં આવી છે.