Publish Date: Tue, 05 Jul 2022 (18:04 IST)
Updated Date: Tue, 05 Jul 2022 (18:11 IST)
Chandrashekhar Guruji: કર્ણાટકના હુબલી જિલ્લામાં 'સરલ વાસ્તુ' તરીકે જાણીતા થયેલા ચંદ્રશેખર ગુરુજીની મંગળવારે એક હોટલમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. ચંદ્રશેખર ગુરુજીની હત્યા હોટલના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે હોટલના રિસેપ્શન એરિયામાં બે શખ્સો બેરહેમીથી ગુરુજીને ચાકુ મારી રહ્યા છે. વાસ્તુશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીના હત્યારાઓને પકડવા માટે પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી અને બંને હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે.
વાસ્તુશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની હત્યાના સમાચાર મળતા જ હુબલીના પોલીસ કમિશનર લાભુ રામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું હતું કે મૂળ બાગલકોટના રહેવાસી ગુરુજીએ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં તેમને મુંબઈમાં નોકરી મળી હતી. આ પછી ગુરુજી મુંબઈમાં સ્થાયી થયા અને વાસ્તુ કન્સલ્ટિંગ આપવાનું શરૂ કર્યું. ત્રણ દિવસ પહેલા હુબલીમાં ગુરુજીના પરિવારના એક બાળકનું મૃત્યુ થયું હતું, જેના કારણે તે અહીં આવ્યા હતા.
સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે બંને આરોપી હોટલના રિસેપ્શન એરિયામાં આવે છે અને ચંદ્રશેખર ગુરુજીની રાહ જુએ છે. આ પછી ચંદ્રશેખર ગુરુજી ત્યાં આવે છે અને રિસેપ્શનમાં રાખેલા સોફા પર બેસી જાય છે. તેઓ બેસતાની સાથે જ એક આરોપી નજીક આવે છે અને ગુરુજીના પગને સ્પર્શ કરે છે અને તે જ સમયે અન્ય આરોપી ચાકુ કાઢીને ચંદ્રશેખર ગુરુજી પર હુમલો કરવા લાગે છે. આ દરમિયાન, બીજો આરોપી પણ તેના ખિસ્સામાંથી છરી કાઢે છે અને સાથે મળીને ગુરુજીને નિર્દયતાથી મારવા લાગે છે.
હત્યારાઓ ગુરુજીની સાથે કામ કરતા હતા
ચંદ્રશેખર ગુરુજીની હત્યાના બંને આરોપી મહંતેશ અને મંજુનાથની ધરપકડ કરવામાં આવી છે. હત્યા બાદ બંને બેલગાવી જઈ રહ્યા હતા. તેમની ધરપકડ બેલાગામી જિલ્લાના રામદુર્ગ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ચંદ્રશેખર ગુરુજી સાથે કામ કરતા હતા. કર્ણાટકના ગૃહમંત્રી અગારા જ્ઞાનેન્દ્રએ ચોખવટ કરી છે કે બંને હત્યારાઓ ચંદ્રશેખર ગુરુજી સાથે કામ કરતા હતા.
બીજી બાજુ પોલીસને શંકા છે કે ચંદ્રશેખર ગુરુજી શહેરની પ્રેસિડેન્ટ હોટેલમાં બિઝનેસના સંબંધમાં કોઈને મળવા આવ્યા હતા. આ તકનો લાભ લઈને આરોપીઓએ ચંદ્રશેખર ગુરુજીની નિર્દયતાથી હત્યા કરી નાખી. પોલીસનું કહેવું છે કે ચંદ્રશેખર ગુરુજી એક હોટલમાં ગયા હતા જ્યાં રિસેપ્શન પર બે લોકોએ તેમના પર ચાકુથી હુમલો કર્યો જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી.