Publish Date: Sun, 31 Aug 2025 (15:43 IST)
Updated Date: Sun, 31 Aug 2025 (15:53 IST)
દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી એરપોર્ટ પર પાછી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાની સૂચના મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટના પછી, પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ ૧૮૦ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.
પાયલોટે તાત્કાલિક એન્જિન બંધ કરી દીધું
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ ઘટના ફ્લાઇટ AI2913 સાથે બની હતી. ટેકઓફ થયા પછી તરત જ, કોકપીટ ક્રૂને જમણા એન્જિન સંબંધિત આગની ચેતવણી મળી. માનક સલામતી પ્રોટોકોલને અનુસરીને, ક્રૂએ તાત્કાલિક એન્જિન બંધ કરી દીધું અને વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું લેન્ડ કરાવ્યું.
બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને હાલ પૂરતું ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે. મુસાફરોને ઇન્દોર મોકલવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે જે ટૂંક સમયમાં ઉડાન ભરશે.