Publish Date: Sun, 17 Oct 2021 (17:04 IST)
Updated Date: Sun, 17 Oct 2021 (17:06 IST)
હવામાન વિભાગએ 17 ઓક્ટોબરથી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહીને જોતાં ઉત્તરાખંડમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ ધામ કેદારનાથમાં યાત્રાને રોકી દેવામાં આવી છે. આગામી જાહેરાત સુધી યાત્રા રોકાયેલી રહેશે અને સાથે સાથે સ્થાનિકોને પણ અલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર હવામાન વિભાગ દ્વારા રવિવાર, 17 ઓક્ટોબરથી બે-ત્રણ દિવસ સુધી ચારધામ સહિતના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ શાળાઓ અને કોલેજોમાં 18 ઓક્ટોબર માટે એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, પોલીસ વહીવટીતંત્ર અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડ આવતા અને મુસાફરી કરનારાઓને હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરવા અને આ સમયગાળા દરમિયાન મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે પોલીસ, એસડીઆરએફ અને અન્ય સંબંધિત કર્મચારીઓને સંવેદનશીલ સ્થળોએ હાઇ એલર્ટ પર રાખવા જોઇએ. તેમણે કહ્યું કે અસરગ્રસ્તોને જરૂર પડે તો તાત્કાલિક રાહત મળવી જોઈએ.