Publish Date: Thu, 02 Jan 2025 (18:30 IST)
Updated Date: Thu, 02 Jan 2025 (18:31 IST)
પહેલી જાન્યુઆરી, બુધવારે કેન્દ્રીય કૅબિનેટની બેઠક મળી હતી જેમાં ખેડૂતો માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. તે મુજબ 'પ્રધાનમંત્રી પાક વીમા યોજના' હેઠળની રકમને વધારીને 69,515 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
વર્ષ 2025ની પ્રથમ કૅબિનેટ મિટિંગ પછી રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે માહિતી આપી હતી.
આ ઉપરાંત કૅબિનેટમાં લગભગ 800 કરોડ રૂપિયાનું એક ફંડ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે પાક વીમા યોજનાને લગતા મામલામાં ટેકનોલૉજીનો ઉપયોગ વધારશે.
તેના દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું ઝડપથી આકલન કરી શકાશે અને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.
બુધવારે થયેલી કૅબિનેટની બેઠકમાં પાક વીમા યોજનાની પ્રક્રિયાને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત ડીએપી ફર્ટિલાઇઝર માટે 'વન ટાઇમ સ્પેશિયલ પૅકેજ'નો નિર્ણય પણ કૅબિનેટે લીધો છે. તેના હેઠળ ખેડૂતોને ડીએપીની 50 કિલોની થેલી 1350 રૂપિયામાં આપવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે યુદ્ધ અને બીજાં કારણોથી જે સ્થિતિ પેદા થઈ છે તેનો બોજ ખેડૂતો પર ન આવે તેથી સરકાર જાતે તેનો બોજ ઉઠાવશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડીએપીની યોજના પાછળ લગભગ 3850 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.