Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વર્ષે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે? કયા જિલ્લામાં કેવી હશે સ્થિતિ?

garba
, સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (15:13 IST)
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો.
 
જોકે, હવે ફરી ગુજરાતમાં વરસાદની માત્રા ઘટી જશે અને અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો તથા કચ્છના વિસ્તારોમાં વરસાદ હવે બંધ થવાની શક્યતા છે.
 
બીજી તરફ ગુજરાતમાં પાછલાં બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી અને આ વર્ષે ખેલૈયાઓ નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રી પહેલાં જ હાલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લોકો પહેલાંથી જ ખરીદીમાં લાગી ગયા છે. પરંતુ ચોમાસાની હજી વિદાય થઈ નથી તો નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે ખરો?
 
બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ
 
20 કે 21 સપ્ટેમ્બરની આસપાસ આ વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડી પાસે આવેલા વિસ્તારોમાં દેખાવાની શરૂ થશે
 
ભારતમાં ચોમાસાનો વરસાદ મોટા ભાગ દરિયામાં સર્જાતી વરસાદી સિસ્ટમો પર આધારિત હોય છે. બંગાળની ખાડીમાં સર્જાતી વરસાદી સિસ્ટમ આગળ વધતાં ભારતના અનેક ભાગોમાં વરસાદ પડે છે.
 
તાજેતરમાં જ સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી વરસાદ થયો હતો.
 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો હતો અને ઘણા વિસ્તારોમાં સતત વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન પણ થયું છે.
 
નોંધનીય છે કે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ઊજવવામાં આવશે.
 
હવામાનવિભાગે આગાહી કરી છે કે 18 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ ઊભી થશે.
 
આ લૉ-પ્રેશર એરિયા દરિયામાંથી આગળ વધીને ભારતના ભૂ-ભાગ પર આવશે અને તેની ઘણા વિસ્તારો પર અસર પડશે.
 
20 કે 21 સપ્ટેમ્બરની આસપાસ આ વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડી પાસે આવેલા વિસ્તારોમાં દેખાવાની શરૂ થશે.
 
નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?
 
આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26મી સપ્ટેમ્બરના રોજ થવાની છે અને જે બાદ નવ દિવસ સુધી રાજ્યભરમાં તેની ઉજવણી થશે
 
હવામાનવિભાગે બે અઠવાડિયાંનું વરસાદનું જે અનુમાન જાહેર કર્યું છે, તે પ્રમાણે રાજ્યમાં 26 સપ્ટેમ્બરની આસપાસથી જ વરસાદ ફરી શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
જોકે, આ આંકડાકીય મૉડલ પર આધારિત આગાહી છે, જે આવનારા દિવસોમાં વાતાવરણમાં થનારા ફેરફારની સાથે બદલાઈ પણ શકે છે.
 
જે બાદ ત્રણ દિવસ સુધી એટલે કે 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.
 
હવામાનવિભાગના ફૉરકાસ્ટ મૉડલ પ્રમાણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ સહિતનાં શહેરોમાં પણ કદાચ વરસાદ પડી શકે છે.
 
હવામાનવિભાગે જાહેર કરેલા ફૉરકાસ્ટ પ્રમાણે નવરાત્રીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
જોકે, બંગાળની ખાડીમાં બનવા જઈ રહેલી સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ આગળ વધશે તેના પર તમામ આધર રહેલો છે.
 
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
 
ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો અને સપ્ટેમ્બર મહિનામાં પણ એક રાઉન્ડ વરસાદનો તાજેતરમાં જ પૂરો થયો છે. ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 34 ટકા વધારે વરસાદ થયો છે.
 
જેમાં ટકાવારીની દૃષ્ટીએ સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં થયો છે અને સરેરાશ સૌથી ઓછો વરસાદ દાહોદમાં થયો છે.
 
જોકે, કચ્છમાં વરસાદની સરેરાશ જ સૌથી ઓછી છે જેથી થોડો વધારે વરસાદ થાય તો પણ ત્યાં ટકાવારીની દૃષ્ટીએ વધારે વરસાદ દેખાય છે.
 
આ વર્ષે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.
 
ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ જૂનમાં રાજ્યમાં ઓછો વરસાદ થયો હતો. જે બાદ જુલાઈ અને ઑગસ્ટમાં સારો વરસાદ થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Yuvraj Singh Six Sixes Video : યુવરાજે પોતાના પુત્ર સાથે ટીવી પર 6 છગ્ગા જોયા, 15 વર્ષની યાદ તાજી કરી..