Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Election Update - ગુજરાતમાં ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત, 7 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન

election voting
, સોમવાર, 6 મે 2024 (09:13 IST)
election voting
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા હતા. ગઈકાલે 5મી મેના રોજ પ્રચાર માટેનો સમય પૂર્ણ થયો હતો. હવે આવતીકાલે સાતમી મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે.
 
મંગળવારે રાજ્યની તમામ 26 બેઠકો પર સવારના સાતથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે.
 
રાજ્યના અધિકતમ મુખ્ય ચૂંટણી કમિશનર કુલદીપ આર્યાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, "આ સમયગાળામાં પ્રચાર પર પ્રતિબંધ રહેશે. આ સિવાય એ પણ ધ્યાન રાખવામાં આવશે કે કમ્યુનિટી હૉલ, હોસ્ટેલો અને ધરમશાળાઓમાં (મતદાન મથક હોય તેમાં) કોઈ બહારનો વ્યક્તિ રોકાય નહીં. જે-તે સ્થળે ચેકપોસ્ટના માધ્યમથી મતવિસ્તારોમાં વાહનોની આવન-જાવન પર પણ નજર રહેશે અને તેમનું પણ સુપરવિઝન અને ચેકિંગ થશે."
 
મતદાન સુધીના સમયગાળામાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચૂંટણી સંબંધિત કોઈપણ વસ્તુનુ પ્રસારણ પ્રતિબંધિત રહેશે.
 
તેમણે વધુ જાણકારી આપતા કહ્યું હતું કે, "દરેક મતદાનમથક પર વોટર આસિસ્ટન્સ બૂથનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવ્યા છે જેથી કરીને સૌને સુગમતા રહે. દરેક મતદાન મથક પર વેઇટિંગ એરિયા, પીવાનું પાણી, ટૉઈલેટ, વૃદ્ધ મતદારો માટે રૅમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે."
 
મતદાન પહેલાં ભાજપનો છેલ્લો પ્રયાસ, ક્ષત્રિય નેતાઓએ પત્ર લખી વિનંતી કરી
 
પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ભાજપ વિરુદ્ધ મતદાનના સંકલ્પને કારણે ભાજપને મોટું નુકસાન જવાની ભીતી છે. આ નુકસાનને ટાળવા ભાજપના તમામ મોટા નેતાઓએ અઢળક પ્રયાસો કર્યા છતાં સમાધાન થયું નથી. રૂપાલાના નિવેદન મુદ્દે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. જેથી તે ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાનની અપીલ કરી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં પણ બે ભાગલા પડ્યા છે. એક ભાજપ વિરોધી તો એક ભાજપના સમર્થનમાં છે. ત્યારે આજે ગોંડલમાં ભાજપ સમર્થમાં ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જેમાં જયરાજસિંહે હાલ ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવતા કહ્યું હતું કે, આ સમગ્ર આંદોલન પાછળ બે વ્યક્તિઓ સક્રીય છે. આ આંદોલનમાં ક્ષત્રિય સમાજને તો માત્ર હથિયાર બનાવવામાં આવ્યો છે. જ્યારે જ્યોર્તિરાદિત્યસિંહે જણાવ્યું હતું કે, લોકોએ સમાજ હિતને બદલે રાજકીય રોટલા શેક્યા છે.
 
હવે મતદાન પહેલાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ ક્ષત્રિય સમાજના લોકોને પત્ર લખીને મોટું મન રાખવા માટે વિનંતી કરી છે.
 
ભાજપના ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા સહિત કુલ 14 નેતાઓએ સમાજને પત્ર લખીને વીનવણી કરી છે કે ‘રાષ્ટ્રીય હિત’ને ધ્યાનમાં રાખીને તેઓ ભાજપને મત આપે.
 
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે પરશોત્તમ રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરીને માફી આપવી જોઈએ.
 
ભાજપના ક્ષત્રિય નેતાઓએ આ પત્રમાં કહ્યું છે કે, "આવનારા સમયમાં ભારત ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણા સૌનું કર્તવ્ય છે."
 
તેમણે ક્ષત્રિય સમાજને સવાલો પૂછતા કહ્યું છે, "જે પક્ષે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લીધો, કલમ 370ની નાબૂદીનો વિરોધ કર્યો, સીએએનો વિરોધ કર્યો અને તુષ્ટિકરણનું રાજકારણ કર્યું તેને કઈ રીતે સમર્થન આપી શકાય? ક્ષત્રિય સમાજ પોતાના કિંમતી મત કેવી રીતે તેમને આપી શકે?"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પનીર ટિક્કાને બદલે ચિકન સેન્ડવિચની ડિલિવરી... મહિલાએ 50 લાખનું વળતર માંગ્યું