Publish Date: Fri, 22 Mar 2019 (12:20 IST)
Updated Date: Fri, 22 Mar 2019 (12:36 IST)
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગામ લોકોએ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામમાં રસ્તા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાના અભાવે નેતાઓ તથા તંત્ર પ્રત્યે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે વિદ્યાર્થીઓએ રોડ નહિ તો વોટ નહિના નારા સાથે વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત રાજકીય પક્ષો પર પણ ગામમાં આવવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે. માલપુરના જાલમખાંટના રહીશો રોડથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને અગ્રણીઓએ રસ્તાની માંગ સાથે ચૂંટણીનો વિરોધ કરી રહ્યાં છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે તડપી રહ્યા છે. વાંકાનેડા-ચંદસર માર્ગને જોડતા જાલમખાંટ ગામ સુધી પહોંચવાનો 3 કિમી રસ્તો કાચો હોવાને કારણે ગામમાંથી પસાર થઇ ભેમપોડા ગામ સહિતના ગામડાઓને જોડે છે. જો કે હાલ કાચો રસ્તો હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો પડી રહ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક ધારસભ્યને પણ અવારનવાર રજૂઆતો કરી તેમ છતાં હજુ કોઇપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. જેથી હવે ગામ લોકોએ રોષે ભરાઇને આગામી સમયમાં ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન સહિત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.