Publish Date: Sat, 11 Aug 2018 (08:01 IST)
Updated Date: Sat, 11 Aug 2018 (08:51 IST)
બાદશાહ અકબરના દરબારમાં બીરબલ ખૂબ જ બુધ્ધિશાળી હતા. બાદશાહ તેથી બીરબલને ખૂબ જ ચાહતા હતા અને તેને માન-સન્માન પણ આપતા. બીજા દરબારીઓને આ વાત બિલકુલ પસંદ નહોતી. તેમની નજરમાં બીરબલ કાંકરાની જેમ ખૂંચતો હતો. અકબર આ વાત જાણતા હતા, પણ તે કશુ બોલતાં નહોતા. એક દિવસ તેમણે આ વાત દરબારીઓને સમજાવવાનું નક્કી કર્યુ.
તે દિવસે તેમણે બધા દરબારીઓને કહ્યુ કે ' બીરબલ તમારા બધાથી વધુ બુધ્ધિશાળી છે, તમે ચાહો તો તમે પણ મારા પ્રિય બની શકો છો, હું એક ચાદર લાવ્યો છુ, હું જ્યારે અહીં સૂઈ જાઉ ત્યારે તમારે મને તે ચાદર ઓઢાડી બતાડવી, જે મને ચાદર પૂરી રીતે ઓઢાડશે તેને પણ બીરબલ જેવું જ માન સન્માન મળશે.
ચાદર ત્રણ ફુટ પહોળી અને ચાર ફુટ લાંબી હતી. અકબર દરબારમાં વચ્ચે જઈને ઉંધી ગયા. બધા દરબારીઓએ વારાફરતી આવીને ચાદર ઓઢાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ અકબર રાજાને પૂરી રીતે ઢાંકી ન શક્યુ.
થોડીવારમાં બીરબલ આવ્યા, તેમણે તો મનમાં વિચારી જ રાખ્યું હતુ કે શુ કરવાનું છે. રાજાએ સૌને કહ્યું કે ચાલો હવે જોઈએ કે બીરબલ શુ કરે છે? બધાની નજર બીરબલ પર જ હતી.
બીરબલે ચાદર લીધી અને રાજાની આસપાસ ફર્યા પછી બોલ્યા કે તમે પગ વાળી લો, જેવા રાજાએ પગ વાળ્યા કે તરત જ બીરબલે તેમને ચાદર ઓઢાડી દીધી. આમ, રાજા પૂરી રીતે ઢંકાઈ ગયા.
પછી રાજાએ દરબારીઓને કહ્યુ કે 'જોયુ તમે ? હવે તો તમે બીરબલની બુધ્ધિને માનો છો ને ?
બધા દરબારીઓના મોઢા પડી ગયા, અને તેઓ મનોમન પોતાની જાતને દોષ આપવા લાગ્યા કે થોડી બુધ્ધિ વાપરી હોત તો આ તો તેઓ પણ કરી શકતાં હતાં.