Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેત્રુજ્ય પર્વત પરનું તીર્થસ્થળ - પાલિતાણા

webdunia
W.D
એક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની ટોચ પરનું પાલિતાણાનું જૈન તીર્થ સ્થળ.

પાલિતાણાના જૈન મંદિર ઉત્તર ભારતીય વાસ્તુશિલ્પને અનુસાર બનાવવામાં આવ્યાં છે. શેત્રુજ્ય પર્વતની ટૉચો પર 900 કરતાં પણ વધારે મંદિર આવેલા છે. જૈન મંદિર 24 તીર્થકર ભગવાનને સમર્પિત છે. મંદિરને ખુબ જ ઝીણવટ પુર્વક અને સુંદર રીતે નિર્મિત કરવામાં આવ્યું છે.

પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરૂઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવા પડે અને લગભગ દર પાંચ-સાત પગથિયે એક મંદિર તો આવી જ જાય. શેત્રુજ્ય પર આવેલ જૈન મંદિર પહેલા તીર્થકર ઋષભદેવ જેમને આદિનાથ પણ કહે છે તેમને અર્પિત છે. પૌરાણિક વાતો પ્રમાણે શૈત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન સિવાયનાં તમામ તિર્થંકરો નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ તેમને સિદ્ધાક્ષેત્ર કહેવામાં આવતા હતાં.

11 મી અને 12 મી સદીમાં બનેલા આ મંદિરોને બે ભાગમાં બનાવવામાં આવ્યાં છે. પાલિતાણાના મંદિરોને ટક્સ કહેવામાં આવે છે. મુગલોના શાસન દરમિયાન પાલિતાણાના રાજા ઉનાદજીએ સીહોર પર આક્રમાણ કર્યું તેના વિરોધમાં ભાવનગરના રાજા ગોહિલ વાખટસિંહજીએ પાલિતાણા પર આક્રમણ કર્યું. પરંતુ રાજા ઉનાદજીએ દ્રઢતા અને સાહસ સાથે ભાવનગરના રાજાને પરાજીત કરી દિધા હતાં.

આ પવિત્ર યાત્રામાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે સમગ્ર યાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારની ખાદ્ય-સામગ્રી સાથે રાખવામાં આવતી નથી. ચઢાણ દરમ્યાન દરેક સ્થળે શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના નળ મૂકવામાં આવેલા છે.

શેત્રુંજય પર્વતની યાત્રાથી મોક્ષની પ્રાપ્તી થાય છે એમ માનવામાં આવે છે. જો યાત્રાળુઓ પગપાળા ન ચઢી શકે તેમ હોય તો તેમના માટે પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે. દેરાસરો અને મંદિરો ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. દરેક દેરાસરોમાં તીર્થકરોની મૂર્તિઓને રત્નજડીત આંખોથી શણગારવામાં આવી છે. અહીંયા આવેલા ઘણા મંદિરો વર્ષો જુના અને નવિનીકરણ પામેલા છે. તીર્થકરોની સાથે સાથે અહીંયા હિન્દુ દેવ દેવીઓના પણ મંદિરો આવેલા છે. આ ઉપરાંત એક દેરી મુસ્લિમ સંત અંગાર પીરની પણ આવેલી છે, જ્યાં સંતાન ઇચ્છતી વ્યક્તિઓ માનતા માને છે. વર્ષ દરમ્યાન ચાર્તુમાસમાં અનેક સંઘો અહીંયા યાત્રા માટે આવે છે.

આ ઉપરાંત દેશ-વિદેશથી અનેક વ્યક્તિઓ અને સંઘોની અવર-જવર પણ ચાલુ જ રહે છે. શૈત્રુંજયની યાત્રાએ આવનારા યાત્રીઓને અનેક દાનવીરો વિવિધ પ્રભાવનાઓ પણ આપે છે. યાત્રિકો પવિત્ર યાત્રાની છબીને જીવન પર્યંત હૃદયમાં ધારણ કરીને પોતાને કૃતાર્થી માને છે.

પાલિતાણા પહોંચવા માટે હવાઇ માર્ગે સૌથી નજીકનું હવાઇ મથક ભાવનગર છે. બસ માર્ગે અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી પાલિતાણા આવી શકાય છે. રેલવે માર્ગે પણ પાલિતાણા પહોંચી શકાય છે.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati