Publish Date: Wed, 20 Mar 2019 (17:09 IST)
Updated Date: Wed, 20 Mar 2019 (16:29 IST)
હોળીના તહેવારના આગમનમાં માત્ર એક દિવસ બાકી રહી ગયો છે. તો બીજી બાજુ નાગરિકોએ અઠવાડિયા પહેલા જ વિવિધ રંગની ખરીદી શરૂ કરી દીધી હતી.
સપ્તરંગી રંગો, અબીલ-ગુલાલ રંગની ખરીદી ઝડપથી વધી રહી છે. જોકે છેલ્લાં ચાર-છ વર્ષથી ઈકોફ્રેન્ડલી રંગની માગણી વધી ગઈ હોવાથી નાગરિકોમાં ખતરનાક રાસાયણિક રંગનો ઉપયોગ કરવાનું ચલણ ઓછું થયું છે. દરમિયાન અભિયાન દ્વારા ઘણા એનજીઓે રાસાયણિક રંગનો ઉપયોગ ન કરવા માટે નાગરિકોને જાગૃત કરી રહી છે.
દુકાનદારોના મત અનુસાર, એક અઠવાડિયા પહેલાથી જ ગ્રાહકો હર્બલ રંગની માગણી કરી રહ્યા છે. જો તમે હર્બલ રંગથી હોળી રમવા માગો છો તો, આ રંગને સરળતાથી તમે ઘરમાં બનાવી શકો છો.
રાસાયણિક રંગોથી સાવધાન રહો
જો તમે રાસાયણિક રંગોથી હોળી રમવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. રાસાયણિક રંગ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. આ રંગોથી તમારી દૃષ્ટિ પણ જઈ શકે છે અને શરીરના વિભિન્ન અંગોને નુકસાન પહોંચી શકે છે.
નુકસાન પહોંચાડતા કૅમિકલયુક્ત રંગ
લાલ રંગ : આ રંગ અત્યંત ઝેરી મર્ક્યુરી સલ્ફાઈડથી બને છે, જે ત્વચાના કેન્સરનું કારણ બને છે.
લીલો રંગ : કૉપર સલ્ફેટથી બનતો રંગ દૃષ્ટિહીન બનાવે છે.
બ્લ્યુ રંગ : આ રંગ પર્શન બ્લ્યુથી બને છે. જે ચામડીના રોગ, શ્ર્વસન પ્રણાલી, લિવર અને કિડનીની બીમારીનું કારણ બને છે.
કાળો રંગ : આ લૅડ ઑક્સાઈડથી બનતો આ રંગથી યુરિન સિસ્ટમ પર ખરાબ પ્રભાવ પડે છે.
રૂપેરી રંગ : ઍલ્યુમિનિયમ બ્રૉમાઈડથી બનતો રંગ કેન્સર ફેલાવે છે.