ગણેશ મહોત્સવમાં વિવિધ મંડળો દ્વારા અવનવી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે જ્યારે આવા મોટા મંડળો પણ સમાજમાં દાખલો બેસે તેવા અવનવા નિર્ણય લેતા હોય છે. વડોદરાના એક યુવક મંડળે છેલ્લાં બે વર્ષ થી એકજ મૂર્તિ ની સ્થાપના કરી છે જે મૂર્તિ વિસર્જન સમયે શહેરના માર્ગો પર શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને પરત પંડાલ પહોંચશે. અને માત્ર સ્થાપનાની નાની મૂર્તિનું જ વિસર્જન કરશે. અને 17 ફૂટની વિશાળ મૂર્તિ ને એક વર્ષ સુધી સાચવી રાખી અને આવતાં વર્ષે ફરી તેજ મૂર્તિ સ્થાપવામાં આવશે. શહેરના રાજમહેલ રોડ પર આવેલ ઇચ્છા પૂર્તિ ગણેશ શ્રી બાલ પ્રગતિ યુવક મંડળ દ્વારા છેલ્લા બે વર્ષ થી એક જ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. બે વર્ષ અગાઉ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી સુરસાગર સરોવરમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઇ હતી અને પાણીમાં પી.ઓ.પીનું પ્રદુષણ ફેલાયું હતુ. વિસર્જન દરમિયાન સુરસાગરમાં 2000થી વધું નાની મોટી મૂર્તિનું વિસર્જન થાય છે. પણ જો એક મંડળ પણ પર્યાવરણ ની જાળવણી માટે જાગૃત થાય તો પ્રદુષણ ઘટાડી શકાય તેવા ઉદ્દેશથી આ શ્રી બાલ પ્રગતિ યુવક મંડળ દ્વારા મોટી મૂર્તિ નું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને માત્ર માટીથી બનેલ સ્થાપનાની મૂર્તિ જ વિસર્જિત કરી હતી. આ પરંપરા બીજા વર્ષે પણ ચાલુ રાખી છે. અને ગત વર્ષે સાચવેલી 17 ફૂટની મૂર્તિ આ વર્ષે ફરી નવા શણગાર સાથે સ્થાપના કરવા માં આવી છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ શોભાયાત્રા કાઢી અને પાંચ પવિત્ર નદી નાં જળ થી મૂર્તિનો અભિષેક કરી પરત તેને સાચવી ને મુકી રાખવામાં આવશે.