આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાનારી ચૂંટણીમાં બધી બેઠકો પરથી લડવા કમર કસી છે. આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હવે ગુજરાત પર ફોક્સ કર્યું છે. ગુજરાતમાં પ્રચારની રણનીતિ ઘડવા ગઈકાલે કેજરીવાલના નિવાસ સ્થાને આપના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં અમદાવાદ ખાતેના આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં થયેલી તોડફોડને અંગે મુખ્ય સંયોજક કેજરીવાલ સહિત તમામ સભ્યોએ ગહન ચર્ચા-વિચારણા કરી હતી અને આ સંદર્ભે પાર્ટીના દિલ્હી સરકારના પ્રધાન કપિલ મિશ્રાને ગુજરાત મોકલવામાં આવી રહ્યા છે, જેમાં આશુતોષ સાથે કપિલ મિશ્રાને પણ ગુજરાતમાં પાર્ટીના અભિયાનની જવાબદારી આપવામાં આવી છે. આ અંગે કપિલ મિશ્રાએ ટિ્વટ કરતાં જણાવ્યું હતું કે તેઓ આવતી કાલ 20 ઓગસ્ટે અમદાવાદ જઈને પાર્ટીના કાર્યાલયની સ્થિતિ અંગે ક્યાસ મેળવશે અને પાર્ટી કાર્યકરોની મુલાકાત લેશે. તેમના બે દિવસના પ્રવાસમાં કપિલ મિશ્રા જનસભાઓને સંબોધશે તેમજ સુરત જઈને પાર્ટીના સ્વંયસેવકોની મુલાકાત કરવાનું પણ આયોજન છે. આવું પહેલી વાર બની રહ્યુ છે, જેમાં દિલ્હી સરકારના કોઈ પ્રધાન પાર્ટીના પ્રચાર માટે તેમના રાજ્યમાંથી બહાર જઈ રહ્યા છે. તાજેતરમાં વિપશ્યનાથી પરત ફર્યા બાદ અરવિંદ કેજરાવાલે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનથી લઈને કપિલ મિશ્રાને ગોવા, ગુજરાત જેવાં રાજ્યમાં પ્રચાર કરવા ઉપરાંત ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.