ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને શુભેચ્છા સાથે અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ભાજપ શાસન છે છતાં ગુજરાતના નાગરિકોને મોટાપાયે પાયાની સુવિધાથી વંચિત છે. ભાજપ સરકાર સંવેદનાથી કામગીરી કરે તે સમયની માંગ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રહેઠાણ સહિતના મુદ્દે રાજ્યના વિવિધ સમાજોમાં આક્રોશ અને અંજપો છે, ત્યારે પ્રજાલક્ષી કામગીરી નવનિયુક્ત મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી કરે તેવી અપેક્ષા છે. પાટીદાર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ હોય કે પછી ખેડૂત સમાજ તમામ પરનું દમન બંધ થાય તે જરૂરી છે.