રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી વિજય રૂપાણીએ એ રાજ્યની ધુરા સંભાળતાંની સાથે જ દારૂ / જુગારની પ્રવૃતિ સામે કડક હાથે કામ લેવાની જે સૂચનાઓ આપી હતી, તેના અનુસંધાને રાજ્યની પોલીસે, ગણપતિ મહોત્સવ, ગણપતિ વિસર્જન, ઇદ, વગેરે જેવા ધાર્મિક તહેવારોના બંદોબસ્તમાં સતત વ્યસ્ત હોવા છતાં, છેલ્લા એક પખવાડિયામાં દેશી દારૂના આશરે ૧૧,૯૫૦ કેસો કરીને આશરે રૂ. ૨૭ લાખનો મુદૃામાલ જપ્ત કરેલ છે, જયારે વિદેશી દારૂના આશરે ૧,૩૫૧ કેસોમાં આશરે રૂ. ૭.૮૫ કરોડનો મુદામાલ શોધવાની અસરકારક કામગીરી કરેલ છે. અન્ય અસામાજીક તત્વો સામેની કાર્યવાહીના ભાગરૂપે રાજય પોલીસે જુગાર ધારા હેઠળના પણ ૪૦૦થી વધુ કેસો કર્યા છે, જેમાં રૂ. ૧ કરોડથી વધુની કિંમતના જુગારના સાધનો કબ્જે લેવામાં આવેલ છે. દારૂબંધી અને જુગાર અધિનિયમોના ભંગ અંગે પોલીસ ધ્વારા 11 હજારથી વધુ ગુનેગાર તત્વોની ધરપકડ કરવામાં આવેલ છે. તેમ કરીને પોલીસે રાજય સરકાર તેમજ પોલીસ વડાના હુકમોનું પાલન કરવાની કટિબધ્ધતા બતાવી છે. તે ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના ઉરી સેકટરમાં આવેલ આર્મી કેમ્પ પર થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઇ, તમામ શહેર તેમજ જિલ્લાઓમાં આવેલ લશ્કરી સંસ્થાનો, પેરા મીલીટરી ફોર્સ હસ્તકના સંકુલો અને અન્ય અગત્યના સંસ્થાનોને સુરક્ષિત રાખવા માટે રાજય પોલીસે પોતાની સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સુદૃઢ બનાવેલ છે.