ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં સેનાના 17 જવાનો શહીદ થયાના સમાચારથી દેશભરના તમામ નાગરિકોના લોહી ઉકળી ઉઠ્યાં છે. ત્યારે શહીદ સુનીલકુમારની દીકરી શાળાની પરીક્ષા આપીને બોલી હતી કે, ભણી ગણીને અમે પણ પાપા જેવી બનીશું. આ સમાચાર વાંચીને સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે તુરંત જ નિર્ણય લીધો કે, ઉરી હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોના સંતાનોના ભણતરનો પોતે ઉઠાવશે. દેશ સેવા કરવાની અને પપ્પાની ઈચ્છા મુજબ ભણી ગણીને આગળ વધવાની શહીદની પુત્રીની ઈચ્છા સુરતના 1 હજાર પુત્રીઓના પિતા એવા મહેશ સવાણી સુધી પહોંચી હતી. પોતાને સંતાનોમાં દીકરી ન હોવાથી દીકરીઓ દત્તક લેનાર મહેશ સવાણીએ તરત જ જાહેર કરી દીધું કે, ઉરી હુમલાના શહીદ જવાનો માટે કોઈ શું કરે છે એ મારે નથી જોવું. પરંતુ આ હુમલામાં શહીદ થયેલા જવાનોના તમામ સંતાનોના શિક્ષણની જવાબદારી હવે પોતાની છે. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોના સંતાનોને જ્યાં ભણવું હશે ત્યાં જેટલો અભ્યાસ કરવો હશે તેટલો કરે. આજથી તમામ ફી તેઓ ભરશે. અગાઉ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળના સી.એલ.પટેલ પણ કાશ્મીરનાં અસરગ્રસ્ત બાળકોને વલ્લભ વિદ્યાનગર ખાતે લઈ આવ્યા હતા અને તેમના રહેવા અને અભ્યાસની સગવડ કરી હતી. જે ઉદાતરતાના ચીલા પર ગુજરાતે એક નવી પ્રેરણા આપી છે.