Publish Date: Wed, 11 May 2016 (17:20 IST)
Updated Date: Wed, 11 May 2016 (17:23 IST)
સોમનાથ મહાદેવ સમગ્ર 12 જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લિંગ છે. જે તમામ 12 લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું હોવાની માનતાઓ છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલ આ જ્યોતિર્લિંગનો વૈશાખ સુદ પાંચમના દિવસે એટલે કે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. આ દિવસને શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય ભૂગોળ રચના પ્રમાણે સમગ્ર દેશમાં સૌ પ્રથમ ચંદ્રદર્શન સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ સ્થળે થાય છે. સોમ એટલે જ ચંદ્ર. સોમનાથ એટલે શિવ. જૈન સંસ્કૃતિ પણ સોમનાથને ચંદ્ર પ્રભુ સ્વામી તરીકે સ્વીકારે છે.સોમનાથ મંદિરની ખ્યાતિ અને સોનાથી લલચાઈને લૂંટ અને ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર આજે પણ અડીખમ ઊભુ છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગવેદમાં પણ કરવામાં આવ્યો છે. સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 725ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.