માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સ ચોથા સેમેસ્ટરનું પરિણામ 17મેના રોજ જાહેર થવાની શકયતાઓ છે. જયારે ધો. 10નું પરીણામ 24મેના રોજ જાહેર થવાની અટકળો ચાલી રહી છે. પરંતુ હજુ સુધી બોર્ડે સત્તાવાર યાદી બહાર પાડી નથી. આ અંગે સત્તાવાર જાહેરાત બોર્ડ આજે સાંજે કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.
જયારે ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં હજુ અનિશ્ચિત છે. પરંતુ સંભવતઃ 25થી 28મે દરમિયાન સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આવશે તેવી શકયતા છે. સાયન્સ ચોથા સેમેસ્ટરના પરિણામ સાથે ગુજકેટનું પરિણામ જાહેર નહીં કરાય.
8 માર્ચથી રાજયમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10, ધો. 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. ધો. 10માં 10.83 લાખ વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 5.14 લાખ વિદ્યાર્થીઓ અને સાયન્સ ચોથા સેમેસ્ટરમાં 1.38 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી હતી અને લગભગ 15 એપ્રિલ સુધીમાં તમામ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ સમીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમીક્ષા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા સાયન્સ ચોથા સેમેસ્ટર અને ધો. 10ના પરિણામની તારીખ નક્કી કરી લીધી હોવાનું જાણવા મળે છે. આ વખતે દર વર્ષની જેમ સૌપ્રથમ સાયન્સ ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરાશે. સાયન્સ ચોથા સેમેસ્ટરનું પરિણામ ૧૭મેના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ધો. 10નું પરિણામ 24મેના રોજ જાહેર કરાશે.