પોકેમોન ગો નામની ગેમને હાઈકોર્ટમાં પડકારતી વધુ એક પિટિશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોકેમોનના ઇંડા મંદિરમાં, મસ્જીદમાં કે ચર્ચની જગ્યામાં હોવાનું પણ દર્શાવવામાં આવે છે તેને કારણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ રહી છે. આ સ્થીતીમાં તેને તત્કાલ રોકવા માટે પિટિશનમાં દાદ માગવામાં આવી છે જેની સુનાવણી આજે હાથ ધરાય તેવી શક્યતા છે.આ કેસની વિગત એવી છે કે, અલય દવે દ્વારા એડવોકેટ નચીકેત દવે મારફત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહીતની રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છેકે, પોકેમોન ગો ગેમ દ્વારા લોકોની ધાર્મિક લાગણીઓનું હનન થઇ રહ્યું છે. સામાન્ય રીતે મંદિર, મસ્જીદ, ચર્ચ, ગીરજાઘર પવિત્ર જગ્યાઓ ગણાય છે. પોકેમોન ગો ગેમમાં આવા સ્થાનમાં પણ ઇંડા દર્શાવવામાં આવે છે. અને આ રમત રમનારે ઇંડા પકડવા માટે આવા ધાર્મિક સ્થાનમાં જવું પડે છે. કોઇપણ પવિત્ર સ્થાનમાં ઇંડા દર્શાવવાને કારણે નાગીરકોની લાગણીઓ દુભાઇ રહી છે. આવા ધાર્મિક સ્થળોએ પોકેમોનના ઇંડા દર્શાવવામાં ન આવવા જોઇએ. જોકે કંપનીના સંચાલકો દ્વારા તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. જેથી તેને બંધ કરવા અથવા તો તત્કાલ દુર કરવા માટે પિટિશનમાં દાદ માગવામાં આવી છે. આવતીકાલે આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છેકે, અગાઉ પોકેમોન ગેમને પડકારતી અન્ય બે પિટિશન પણ થયેલી છે. જેમાં પોકેમોનને કારણે લોકોનું ડ્રાઇવીંગ જોખમી બન્યું હોવાની રજૂઆત કરાઇ છે. તે સિવાય પણ પોકેમોન ખાનગી જગ્યાઓમાં પણ દર્શાવવામાં આવતા લોકોની પ્રાઇવસીનો ભંગ કરે છે. જે પિટિશનોની પણ આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.