Publish Date: Thu, 11 Aug 2016 (12:54 IST)
Updated Date: Thu, 11 Aug 2016 (14:05 IST)
આજથી 37 વર્ષ પહેલા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમમાં તૂટી પડ્યો હતો અને પળવારમાં તો ડેમના પાણી મયુરનગરી મોરબીમાં ફરી વળતા બે કલાકમાં તો મોરબીને સ્મશાન બનાવી નાખ્યું હતું. મુશળધાર વરસાદને કારણે મચ્છુ નદીમાં વિદ્યુતવેગી પૂર આવ્યા હતાં અને તેના પરિણામે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ-ર બંધ તૂટી પડતા આ જળ હોનારત સર્જાઈ હતી.
મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં ૬૮ ગામડાઓની ૧ લાખ પ3 હજારની વસ્તીને ભારે અસર પહોંચી હતી. મોરબીમાં આવેલા જળપ્રલયમાં હજારો લોકોના મોત થયા. ભયાનક હોનારતમાં પશુધનનો નાશ થયો, ખેતરના પાકને પારાવાર નુકસાન થયુ, પાણી પુરવઠાની અને વીજળી તથા ટેલીફોન વ્યવસ્થા તૂટી પડી, આ પ્રંચડ અને ભયંકર જળ હોનારતનાં બનાવને આજે ૩૭ વર્ષ પૂરા થાય છે.
મચ્છુ-ર સિંચાઇ મોરબી તાલુકા હેઠળના જોધપર ગામ પાસે મોરબી શહેરથી આઠ કિલોમીટર ઉપરવાસમાં અને નદીના ઉદગમસ્થાનથી ૧૦૩ કિ.મી. હેઠવાસમાં આવેલો છે. આ યોજના ૧૯૬૭માં શરૂ થઇ અને ૧૯૭૨-૭૩માં રૂા. ૩૭૪ લાખના ખર્ચે પૂરી કરવામાં આવી હતી. મચ્છુ-૨ યોજનાનાં બંધ માટે ૩૨ વર્ષના સરેરાશ વરસાદનાં આંકડા, પૂરની પરિસ્થિતિ વગેરે બાબતોના અભ્યાસના તારણોના આધારે રાજ્ય સરકારે આ બંધ ૨.૧૮ લાખ ઘનફૂટ પાણીની વહનશક્તિની ક્ષમતાવાળો બાંધ્યો હતો. નદીની મધ્યભાગમાં ૩૦ x ૨૦ની સાઇઝના અર્ધચંદ્રકાર ૧૮ દરવાજાવાળા ચણતરનો પાકો બંધ અને બન્ને બાજુ માટીનો બંધ બાંધવામાં આવ્યો હતો.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ દિવસ અને સમય હતો બપોરનો સવા ત્રણે જ્યારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતાં કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-૨ ડેમ તૂટ્યો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે ૦૩:૩૦ વાગ્યાની આસપાસ તો પૂરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતાં અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું.