મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાચીન કૃષિ વ્યવસ્થાના ચિંતન-મનને સમયાનુકુલ જ્ઞાન-વિજ્ઞાન સાથે જોડીને હેલ્ધી ફૂડથી કલાયમેટ ચેન્જની વૈશ્વિક અસરોને નાથવા સહિયારો પુરૂષાર્થ આવશ્યક ગણાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતીય કૃષિ પરંપરામાં નદીને માતા તથા ફૂલ-ઝાડ-છોડમાં ઇશ્વરનું સ્વરૂપ માનીને તેની રક્ષા-સંવર્ધન એ શાશ્વત સંસ્કારને કારણે જ સ્વ થી સમષ્ટિ અને આત્માથી પરમાત્માનો વિચાર કરીને પર્યાવરણ જાળવણી સાથે કૃષિ ઉત્પાદન-પાક વ્યવસ્થાનો તાલમેલ થાય તે સમયની માંગ છે.
મુખ્યમંત્રી્રીએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે દેશની કૃષિ યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સના ૪૧માં કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. ઇન્ડીયન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ એસોસિયેશનના ઉપક્રમે નિરમા યુનિવર્સિટીમાં આ દ્વિદિવસીય કન્વેન્શન ‘ફૂડ ફોર હેલ્થ અન્ડર કલાયમેટ ચેન્જ’ના મુખ્ય વિષયવસ્તુ સાથે શરૂ થયું છે.
મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સને પ્રવર્તમાન યુગમાં ઉપયુકત ગણાવતાં ઉમેર્યુ કે, ભારતીય સંસ્કૃતિમાં કલાયમેટ ચેન્જનો ખ્યાલ સદીઓથી વણાયેલો છે, જે દેશોએ અત્યાર સુધી મહત્તમ પર્યાવરણને નુકશાન કર્યુ છે તેવા દેશો હવે આપણને આ વિષયની ગંભીરતા-ગહનતા શીખવે છે. આપણે તો કુદરતી સંશાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને કલાયમેટ ચેન્જ સામે ઉપચારાત્મક પગલાં લઇને શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સાચી દિશા પકડી છે.તેમણે ઉમેર્યુ કે ગુજરાતે કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટ કરવા સાથે ગરીબ, ગામડું, કિસાનની ચિંતા કરીને સોઇલ હેલ્થકાર્ડ, કૃષિમહોત્સવ જેવા આધુનિક આયામોથી ગ્રામીણ અર્થતંત્ર અને કિસાનશકિતનો માઇન્ડ સેટ બદલ્યો છે. વિજયભાઇ એ જણાવ્યું કે કલાયમેટ ચેન્જના પડકારોને ખેત ઉત્પાદન વૃદ્ધિ, નીમ કોટેડ યુરિયા, ઓર્ગેનિક ખેતી જેવા પ્રયોગો સાથે રૂરલ ઇકોનોમી-રૂરલ ડેવલપમેન્ટ અને એગ્રીકલ્ચરને સક્ષમ-સાતત્યપૂર્ણ રીતે જોડીને ગુજરાતે ખેડુતના બાવડામાં બળ પૂર્યુ છે. તેમણે નર્મદા કેનાલ નેટવર્ક, ડ્રીપઇરીગેશન, સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વિપૂલ જળ પહોચાડીને વરસાદ આધારિત ખેતી નહિ, જળસંચય આધારિત ખેતીથી નવા પાક, આરોગ્યપ્રદ ખેત ઉત્પાદનોમાં ગુજરાત અગ્રેસર છે તેની ભુમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કિસાનોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાના વડાપ્રધાનશ્રીના નિર્ધારમાં ગુજરાત ખેત પેદાશોની મૂલ્યવૃદ્ધિ, ઓર્ગેનિક ફાર્મીંગ, કાંકરેજી અને ગીર ગાય જેવા દૂધાળા પશુની ઓલાદ સુધારણા જેવા નવિનતા પૂર્ણ પ્રયોગોથી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે ખેતીથી વિમૂખ થતી વર્તમાન યુવા પેઢીને પરંપરાગત પાક ઉત્પાદન-કૃષિ પેદાશ પદ્ધતિમાં બદલાવ લાવી હેલ્ધી ફૂડ-હેલ્ધી પ્રોડકટસ માટે પ્રેરિત કરવાના ઉપાયો-વિષયોનું વિચાર-મંથન આ કન્વેન્શનમાં થાય તે માટે અનુરોધ કર્યો હતો. પાક ઉત્પાદન-મૂલ્યવૃદ્ધિ માટે કલાયમેટ ચેન્જના પડકારોને અવસરમાં પલટાવી વધુ નવા શોધ-સંશોધનોની પણ હિમાયત કરી હતી. તેમણે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ અને કામધેનુ પશુપાલન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સશ્રીઓએ સંયુકતપણે તૈયાર કરેલા ‘‘ડ્રોટ ધ વે ફોરવર્ડ’’ અભ્યાસ લેખ પુસ્તકનું વિમોચન કર્યુ હતું.