અમદાવાદ શહેરમાં નાણાબંધીની અસરના કારણે ૮૦ ટકા હિરાના કારખાનાઓ બંધ પડયા છે. શહેરમાં આશરે ત્રણેક હજાર જેટલા હિરાના કારખાનાઓ આવેલા છે જેમાં બે લાખ રત્નકલાકારો રોજીરોટી મેળવી રહ્યા છે. હાલમાં તેઓએ બેરોજગારી ભોગવવાનો વારો આવ્યો છે. આંગળીયા પેઢીઓ ન ખૂલવી, હાથ પર રોકડ ન હોવાથી, ખરીદ અને વેચાણ પણ ન હોવાથી હિરાઉધોગ ઠપ થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં નાણાબંધીને એક માસ બાદ પણ લોકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. હાથ પર રોકડા નાણા ન હોવા ઉપરાંત બેન્કમાં જમા રકમ પણ ઉપાડવામાં અનેક સમસ્યાઓને લઇને વેપાર-ધંધા પણ ઠપ થઇ ગયા છે. બેન્ક ખાતામાંથી માત્ર ૨૪ હજારની જ ઉપાડ મર્યાદામાં લાખો રૃપિયાના ખર્ચવાળા ધંધાઓ ચલાવવા શક્ય ન હોવાથી માલિકો પણ ચિંતાતુર બની ગયા છે. દિવાળી વેકેશન બાદ હિરા ઉધોગ બંધ જ હોવાથી રત્નકલાકારોની માઠી દશા બેસી ગઇ છે. તેઓએ ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા હોવાનું રત્નકલાકારોનું કહેવું છે. આ અંગે વિવેકાનંદ ડાયમંડ એસોસીએશનના પ્રમુખના જણાવ્યા મુજબ હાલમાં તમામ રત્નકલાકારોને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે તાલીમ અપાઇ રહી છે તેઓના બેન્કમાં ખાતા ખોલાઇ રહ્યા છે. હવે તેઓનો પગાર બેન્કમાં જમા કરાશે. હવે તો નાણાબંધીની સ્થિતિ હળવી થયા બાદ જ હિરા ઉધોગ બેઠો થશે.પોલીસ કમિશનર, આરબીઆઇ અને બેન્કના અધિકારીઓની હાજરીમાં કેશલેસ તાલિમનું આયોજન કરાયું હતું. જેમાં હાલમાં ૩,૩૦૦ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. રોકડના અભાવે હિરા ઉધોગના રત્નકલાકારોએ બેકાર થવાનો વારો આવ્યો છે. તેઓને બેકારી ભથ્થુ મળી રહે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પણ આગામી સમયમાં આપવામાં આવશે.પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નરોડા, નિકોલ, કૃષ્ણનગર, વસ્ત્રાલ, રામોલ, રખિયાલ , ઓઢવ, ગોમતીપુર, અમરાઇવાડીમાં હિરાના કારખાના અને ઓફિસો આવેલી છે. જેમાં હાલમાં તમામ કામકાજ ઠપ થઇ ગયું છે