આમ આદમી પાર્ટીના સુપ્રીમો-દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમં પ્રચારનો દોર શરૃ કરી દીધો છે. જોકે, ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને અત્યારસુધી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રવિવારે ટ્વિટરમાં 'બટાકું ગુજરાતમાં'થી અરવિંદ કેજરીવાલનું ટ્રેન્ડિંગ થવા લાગ્યું હતું. કેજરીવાલને બટાકું તરીકે સંબોધવા પાછળનો ઉદ્દેશ એ હતો કે બટાકાની કચ્છ સરહદેથી પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં એલઓસી પર ભારતીય આર્મી દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક અંગે અરવિંદ કેજરીવાલે પુરાવા માગતા વિવાદ સર્જાયો હતો. જેના પગલે કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન તરફી પણ ગણાવાયા હતા. રવિવારે સવારથી જ ભાજપના સોશિયલ મીડિયા સેક્શન દ્વારા 'બટાકું ગુજરાતમાં'થી વિવિધ ટ્વિટ શરૃ કરી દેવામાં આવી હતી. જેમાં 'મારા વ્હાલા ગુજરાતી બંધુઓ હાઇ બ્લડપ્રેશરથી બચવું હોય તો બટાકું ના ખાશો..', 'બટાકું ગુજરાતમાં આવતાં જ બટાકાનાં શબ્દોની જેમ બટાકાંના ભાવ પણ તળિયે બેઠાં..' , 'આ બટાકું ગુજરાતમાં આવી તો ગયું, પણ જોજો અમે હુરતી એને બરાબરનું ધોઇને હરખું પેક કરીને કાલે હાંજે દિલ્હી મોકલી આપવાના છીએ' , 'આ બટાકું ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં હવા બગાડવા આવ્યું છે. પણ અમે રસાવાળા ખમણ, જલેબી-ફાફડા-ઘારીના રસિયા છીએ, અમરા બટાકાનું શું કામ?' 'દિલ્હી સહિત આખા દેશમાં બગડેલા બટાકાની દુકાન બંધ થવાની છે' જેવા ૮૦૦થી વધારે ટ્વિટ થયા હતા.