500 અને 1000ના દરની ચલણી નોટ બંધ કરી દેવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લવાયેલા શાકભાજીના કોઈ ખરીદદાર મળ્યું નહોતું. જેથી શાકભાજી બગડી જાય તેવી નોબત આવી હતી. આમ છતાં ખેડૂતે મોદીના નિર્ણયને વધાવતાં શાકભાજી ક્યાંક ફેંકી દેવાની જગ્યાએ પાંજરાપોળમાં જઈને દાન કરી દીધું હતું. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખેડૂત અરવિંદભાઈ વહેલી સવારે ટેમ્પો લઇ ૨૦૦૦ કિલો જેટલું શાકભાજી વેચવા માટે સરદાર માર્કેટમાં આવ્યા હતા. પરંતુ તેમનો માલ નોટની ખોટમાં વેચાયો નહીં. વેપારી સાથે સોદો નક્કી થાય તો ચુકવણીમાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો મળે તેમ હતું. જે અર્થ વિહીન થઇ જતું હતું.વળી રીંગણા અને દૂધી રોજીંદા જીવનમાં વપરાતી શાકભાજી હોવાથી તે લાંબા સમય સુધી સારી પણ રહી શકે નહી. અરવિંદભાઈનો આ માલ ન વહેચાતા તેને ફેકી દેવાની નોબત ઉભી થઇ હતી. ત્યારે એકાએક તેમને વિચાર કર્યો કે, તમામ માલ ફેંકી દેવા કરતા દાન કરવું યોગ્ય છે. જેથી અરવિંદભાઈએ પોતાની તમામ શાકભાજી મોટા વરાછા વિસ્તારમાં આવેલ આખા કોલા પાંજરાપોળ ગૌ શાળામાં ગાયોને દાન કરવાનું નક્કી કરી નાખ્યું હતું.આશરે ૨૦૦૦થી વધુ કીલોના રીંગણા અને દૂધી ગૌ સેવા એ જ પ્રભુ સેવા માની ૧૦ થી ૧૫ હજારની શાકભાજી ગાયોને દાન કરવા નીકળી પડ્યા હતા. અરવિંદભાઈને પોતાની લોહી પરસેવાની મહેનતની કમાણી પણ ન મળવા છતાં તેમણે સરકારના નોટ બંધીના આ નિર્ણયને આવકાર્યો ગણાવ્યો હતો.