શહેર કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જ શહેર પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચેનો ડખ્ખો ચરમસીમાએ પહોંચ્યો છે. કુંવરજીભાઈએ સેન્સ પ્રક્રિયાથી અત્યાર સુધી મોટા ભાગના ઉમેદવારોના નામ નક્કી કર્યા ત્યાં સુધી ધારાસભ્ય એક તરફ રહ્યા પછી ધોકો પછાડતા અને પ્રદેશ નેતાગીરીએ તેને પ્રતિસાદ આપતા ઉકળી ઉઠેલા કુંવરજીભાઈએ જો ધારાસભ્ય કહે તે જ રીતે પ્રદેશ નેતાગીરી ચાલવા માગતી હોય તો રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેવાની ધમકી ઉચ્ચારી છે. સ્થાનિક રાજકારણમા ખળભળાટ મચી ગયો છે. જો કે હાઈકમાન્ડે આટલા ઉકળાટ પછી બન્નેને સંકલન કરીને ચાલવા સૂચના આપતા બપોર બાદ સમાધાન માટે બેઠક મળનાર છે.
ત્રોના જણાવ્યા અનુસાર કૉંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ તે વખતે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતે પોતાની રજા જાહેર કરી પસંદગી પ્રક્રિયામાં રસ લીધો નહોતો, પરંતુ હવે પોતાના મત વિસ્તારની બેઠકોમાં ઉમેદવાર પસંદગીનું કાર્ય પોતાને સોંપવામાં આવે તેવો આગ્રહ રાખતા પ્રદેશ નેતાગીરીએ તે બાબતે કુંવરજીભાઈને જણાવ્યું હતું. કુંવરજીભાઈએ ઉમેદવાર પસંદગીનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયાનું અને માત્ર ધારાસભ્ય હોવાથી તેના મત વિસ્તારમાં ઉમેદવાર પસંદગીની સત્તા તેને સોંપી દેવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.
જો વિધાનસભા વિસ્તારમાં પોતાની કોઈ ભૂમિકા ન રહેવાની હોય તો ધારાસભ્ય નિષ્ક્રીય રહેવા માગતા હતા તે જ રીતે શહેર પ્રમુખે પણ હાઈકમાન્ડ ધારાસભ્યની વાત એક તરફી સ્વીકારી લે તો રાજીનામું આપી દેવા સુધીની તૈયારી દર્શાવ્યાનું જાણવા મળે છે.
જો કે હાઈકમાન્ડે બન્નેને સંકલન કરીને ચાલવાની સૂચના આપ્યા બાદ બન્ને જૂથોએ સમાધાનની આશા
દર્શાવી છે. ઉમેદવાર જાહેર કરવાને હજુ બે ત્રણ દિવસની વાર છે ત્યાં સુધીમાં બન્ને પક્ષે થોડી બાંધછોડ કરી નિવિઘ્ને ચૂંટણી કાર્ય આગળ વધે તે માટે હાઈકમાન્ડે પણ પ્રયાસો હાથ ધર્યા છે. સમગ્ર રાજ્યમાં જે માહોલ ઊભો થયો છે તેનો લાભ લેવાને બદલે ખરા ટાણે શહેર કૉંગ્રેસમાં આંતરિક માહોલ બગડે તો પરિણામમા ભૂતકાળનું પુનરાવર્તન જ થવાની ભીતિ વ્યકત થઈ રહી છે.