ભેંસાણ નજીક આવેલ મંડલીકપુર ગામે વહેલી સવારે જંગલ વિસ્તારમાંથી દિપડો ગામમાં આવી ચડયો હતો. સૌ પ્રથમ ગૌશાળામાં ઘુસી બે વાછરડીનું મારણ કર્યુ હતું ત્યાં તમામ ગાયોએ એકત્ર થઇ દિપડાનો પ્રતિકાર કરતા દિપડો ગૌશાળામાંથી ભાગી છૂટયો હતો.
ગીર બોર્ડરને અડીને આવેલ મંડલીકપુર ગામે વહેલી સવારે ૪ વાગ્યે દિપડો ગામની બહારના ભાગે આવેલ ગૌશાળામાં ઘુસ્યો હતો અને બે વાછરડીનું મારણ કરતાની સાથે અન્ય તમામ ગાયોએ એકત્ર થઇ દિપડાનો પ્રતિકાર કરતા દિપડો ગૌશાળા છોડી ભાગી છૂટયો હતો. બાદમાં દિપડો ગામમાં પ્રવેશ્યો હતો અને હિંમતભાઇ કેશુભાઇ રામોલીયાના વાડામાં ઘુસીને તેઓની વાછરડીને ઇજા પહોંચાડી હતી. આ સમય દરમિયાન લોકો એકત્ર થઇ જતાં ત્યાંથી પણ દિપડો ભાગી છૂટયો હતો. ગ્રામજનોએ જણાવ્યુ હતું કે આ દિપડો ગામની આજુબાજુના વિસ્તારમાં જ ઘણાં સમયથી રહે છે અને ગામમાં પણ અવારનવાર આવી ચડે છે અને આ અંગે વન વિભાગ દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.