મોદીનો વિરોધ નથી, તેમની વિચારધારાનો વિરોધ છેઃ રાહુલ ગાંધી
, શુક્રવાર, 28 માર્ચ 2014 (16:03 IST)
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કોઈ વ્યક્તિગત વિરોધ નથી પરંતુ મોદી દ્વારા રજૂ કરવામાં આવેલી વિચારધારાનો વિરોધ છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને જારી કર્યા બાદ પત્રકાર પરિષદમાં રાહુલે નરેન્દ્ર મોદી અંગે તેમના અંગત મત રજૂ કર્યા હતા. એક પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, વ્યક્તિગત કોઇ વિરોધ નથી પરંતુ મોદી એક એવી વિચારધારા રજૂ કરે છે જે એક ચોક્કસ વિચારધારા છે. એક-બીજા સાથે લડાવવાની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. આના કારણે દેશને નુકસાન થશે. આ વિચારધારાને હરાવવા માટે કોંગ્રેસના દરેક લોકો વિરોધ કરશે. નરેન્દ્ર મોદી ભારત માટે નુકસાનકારક સાબિત થશે તેવા વડાપ્રધાન મનમોહનસિંહના મત સાથએ તેઓ સહતમ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન ખુબ જ શક્તિશાળી અને બુદ્ધિશાળી માણસ છે. મોટાભાગના મુદ્દાઓ ઉપર તેમનો ટેકો લેવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમનાથી સલાહ પણ લેવામાં આવે છે. રાહુલે ગ્કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના મૂળભૂત માળખા સામે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ભારતની વિચારધારા સામે તેઓ પ્રહાર કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ માટે નિરાશાજનક ચિત્ર રજૂ કરી રહેલા ઓપિનિયન પોલ ખોટા સાબિત થશે. ૨૦૦૯ અને ૨૦૦૪ની ચૂંટણીમાં ઓપિનિયન પરિણામ ખોટા સાબિત થયા હતા. પરિણામ દરેક વ્યક્તિને આヘર્યચકિત કરશે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે, મોદીને જોરદાર પડકાર ફેંકવામાં આવશે. મોદી સામે ચોક્કસપણે યોગ્ય ઉમેદવાર ઉતારવામાં આવશે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ ચૂંટણી સર્વેના અનુમાનોને ફગાવી દીધા હતા અને જીત અંગે આશા વ્યક્ત કરી હતી. ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા યુપીએ સરકાર માટે હાલ નવી રણનીતિ ધડવામાં આવી રહી છે.