શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો રાજય સરકાર ૧૯૭૬માં અમલમાં મૂકયો હતો. પછી કાયદો તા. ૩૧ માર્ચ, ૧૯૯૯એ રદ કર્યેા હતો. દરમિયાન સેકશન સિકસ(એ) પ્રમાણે જમીન ધારકે જમીનના કેટલા વારસદાર છે અને કેટલી જમીન ફાજલ પડે છે તેની જાહેરાત કરવાની હતી. જાહેરાત સાચી છે કે ખોટી અને જો ખોટી હોય તો ફોજદારી કાર્યવાહી કરવા સુધીની સત્તા આપવામાં આવી હતી. જો કે શહેરી જમીન ટોચ મર્યાદા ધારો રદ કરવામાં આવ્યો પણ મહેસૂલ વિભાગે સંદર્ભે બારોબાર તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૧૪ અને તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ના પરિપત્ર કરીને જમીન ટોચ મર્યાદા ધારા સંદર્ભે જમીન ધારકે કેટલી શહેરી જમીન ટોચ મર્યાદામાં આવે છે અને કેટલી નહીં તેની જાહેરાત કરી છે કે નહીં તેની ચકાસણી કરવાનું કહ્યું હતું. નિર્ણયની અવળી અસરએ થઇ કે જમીનના ચાર–પાંચ માલિક બદલાઇ ગયા હોય ત્યારે તે જમીન ધારકે આવી જાહેરાત કરી કે નહીં તેની ચકાસણી મુશ્કેલ બની હતી. આથી શહેરી જમીન ટોચ મર્યાદામાં કેટલી જમીન આવે છે તેની જાહેરાતની જોગવાઇએ સેંકડો એકર જમીનને એન.એ. અને પ્રીમિયમ ભરવાની બાબતથી અળગી રાખી હોવાથી જોગવાઇને રદ કરવાની રજૂઆતો આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે જોગવાઇ બાબતે કાયદા વિભાગનો પરામર્શ લેતા આવી જોગવાઇ રદ કરવાનો અભિપ્રાય આપ્યો હતો. આથી ગુજરાત સરકારે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ કેટલી જમીન આવે છે તેની જાહેરાત ખેડૂતો કરી હોય તો પણ તેવી જમીનને એનઓસી કે પ્રીમિયમ ભરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.